કોરોના વાયરસના કહેર વચ્ચે શાળાઓની ફીનો મુદ્દો સતત ગુંજી રહ્યો છે, ત્યારે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં રાજ્ય સરકારની 25 ટકા ફી માફીની દરખાસ્તનો વિરોધ કર્યો છે. ત્યારે આજે સંચાલકોએ હાઈકોર્ટમાં એક સોંગદનામું કર્યું છે. આ અરજી પર શુક્રવારે ચીફ જસ્ટિસની ખંડપીઠમાં તેની સુનાવણી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામા આવી હતી કે કોરોના અને લૉકડાઉનના કારણે વાલીઓની આર્થિક કથળતા તમામ વિદ્યાર્થીઓની 25 ટકા સુધી ફી ઘટાડી દેવામા આવે. જેનો વિરોધ કરતા આજે શાળા સંચાલકોએ હાઇકોર્ટમાં સરકારની દરખાસ્તને પડકારી છે. શાળા સંચાલકોના મત મુજબ સમગ્ર વર્ષ દરમિયાન 25% ફીનો ઘટાડો શક્ય નથી. FRCની મંજૂર ફીનો વધારો જતો કરવા સંચાલકો તૈયાર થયા છે. આ સિવાય ગતવર્ષની ફી યથાવત રાખી 10-12% રાહત આપવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સંચાલકો તરફથી તમામ બાળકોની નહીં પરંતુ જરૂરિયાતમંદ-ગરીબ બાળકોની જ સંપૂર્ણ ફી માફી કરવાની દરખાસ્ત કરાઈ હતી.
તમામ વાલીઓ ગરીબ નથીઃ શાળા સંચાલકો
અમદાવાદ જિલ્લા શાળા સંચાલકના પ્રમુખે ફી ઘટાડાનો વિરોધ કરતા જણાવ્યું કે, લાઇટ બિલ સિવાયના કોઇ ખર્ચમાં ઘટાડો થયો નથી. એફઆરસી મુજબ દર વર્ષે 10-12 ટકા ફી વધારાની છૂટ છે. તેમ છતાં ફીમાં વધારો કરાયો નથી તો વાલીઓને 10-12 ટકાની ફી રાહત મળી જ રહી છે. તો સંચાલકોની દલીલ છે કે તમામ વાલીઓ ગરીબ નથી. ઘણા વાલીઓ પુરી ફી ભરી શકે તેમ છે.
મહત્વનું છે કે, અગાઉ હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણમંત્રી અને સ્કૂલ સંચાલક મંડળો વચ્ચે ફી મુદ્દે બેઠક મળી હતી. જેમાં સરકાર તરફથી 25 ટકા સુધી ફી ઘટાડવા માટે દરખાસ્ત મુકાઈ હતી. જોકે સંચાલકોએ દરખાસ્ત ફગાવી હતી અને તમામ ચર્ચાને અંતે બેઠક અનિર્ણિત રહી હતી. ત્યારે હવે સંચાલકો હાઈકોર્ટ પહોંચ્યા છે.