અમદાવાદઃ એક પછી એક ગીરના જંગલમાં 23 સિંહોના મોત થયા હતા. જેને લઇને સમગ્ર પંથક અને રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આટલા બધા સિંહોના મોત વનવિભાગ અને સરકાર દોડતી થઇ હતી. ત્યારે ધારીમાં 23 સિંહના મોત મામલે હાઈકોર્ટમાં કરાયેલી જાહેરહિતની અરજી મામલે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો.
સરકારે જવાબ રજૂ કરતા કહ્યું કે ખેતરોમાં બંધાતા જીવતા વીજ તારનું ફેન્સીંગ ગેરકાયદેસર છે. વીજ તારના ફેન્સીંગથી સિંહો અને અન્ય પશુઓને જોખમ રહેલું છે. ત્યારે વીજ તારના ફેન્સીંગ દૂર કરવા સૂચના આપી છે. વીજ તારનું ફેન્સીંગ કરવું ઇલેક્ટ્રીસીટી એક્ટ પ્રમાણે પણ ગુનો બને છે. જંગલખાતાને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે. સ્થાનિક પ્રશાસન સાથે રહીને કાર્યવાહી કરાશે. 15 ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
આ પહેલાની સુનાવણીમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબમાં કહ્યું છે કે જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં ૫૦ હજારથી વધુ કુવા ખુલ્લા હતા. તેથી વનવિભાગ ૩૨ હજારથી વધુ દિવાલો કુવા નજીક બનાવી દેવામાં આવી છે.
રાજ્ય સરકારે વધુમાં કહ્યું હતું કે કુવા નજીક દિવાલ બનાવવા ૧૬ હજારની સબસીડી પણ આપવામાં આવી રહી છે. સાથે ખુલ્લા ખેતરોમાં આવેલા કુવા પણ સબસીડી હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ૩ જીલ્લાઓમાં કલેક્ટર અને ડીડીઓ કુવાને કવર કરવા માટે અભિયાન પણ ચલાવી રહ્યા છે.