વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના 10 જિલ્લાની પરિસ્થિતિને લઇ સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. ડિઝાસ્ટર સેન્ટર ખાતે બેઠક યોજાઇ હતી. ચીફ સેક્રેટરી જે.એન સિંગની અધક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હવામાન વિભાગ, NDRF, ગૃહ વિભાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ત્યારે બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, હાલ રાજ્ય પરથી સંકટ ટળ્યું છે. અને હવે સ્થળાંતરિત કરાયેલા લોકોને પરત ઘરે જવા કહેવામાં આવી રહ્યું છે. આવતીકાલથી સ્થિતિ સામાન્ય થઇ જશે.
ઉપરાંત સીએમ રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર 3 દિવસનું ભથ્થું પણ ચૂકવશે જેમાં બાળકો અને બાળકીને 45 રૂપિયા અને પુરુષ અને મહિલાને 60 રૂપિયા ચૂકવશે એટલે 3 લાખ લોકોને અંદાજે 5.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જો કે NDRFની ટીમ હજુ પણ બે દિવસ તહેનાત રહેશે.
કોઇ મોટું નુકસાન થયું નથીઃ રાહત કમિશ્નર
વાયુ વાવાઝોડાની અસરને લઇને રાહત કમિશ્નર મનોજ કોઠારીએ પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી. રાહત કમિશ્નર મનોજ કોઠારીએ કહ્યું હતું કે, વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. વાવાઝોડામાં કોઇ મોટું નુકસાન થયું નથી. જો નુકસાન હશે તો તેનો સર્વે કરી અને સહાય પણ ચૂકવવામાં આવશે.
CM રૂપાણીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકારનો માન્યો આભાર
CM રૂપાણીએ ટ્વીટ કરી કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. વાયુ વાવાઝોડા સમયે ગુજરાતની મદદ માટે આભાર માન્યો છે. ગૃહ મંત્રાલય, NDRF, હવામાન વિભાગનો પણ તેમણે આભાર માન્યો છે. કોસ્ટગાર્ડ, એરફોર્સ, ગુજરાત પોલીસની કામગીરી પણ CM રૂપાણીએ બિરદાવી છે. તેમજ ગુજરાતની જનતા તરફથી મદદ માટે હાથ લંબાવનારા સૌનો તેમણે આભાર માન્યો છે.