ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને જોતાં રાજ્યમાં બે દિવસ રસીકરણ પર રોક લગાવી દેવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં બે દિવસ વેક્સિનેશન બંધ
વાવાઝોડાના પગલે CMની જાહેરાત
17 અને 18મી મેના વેક્સિનેશન રહેશે બંધ
કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનો સંભવિત ખતરો દેખાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વેક્સિનની કામગીરી પર વાવાઝોડાનિય અસર દેખાઈ રહી છે. રાજ્યમાં આગામી બે દિવસ માટે રસીકરણ અભિયાન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બે દિવસ સુધી રસીકરણ પર રોક
વાવાઝોડાને પહોંચી વળવા માટે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ સુધી રસીકરણને રોકી દેવા માટે સીએમ રૂપાણીએ આદેશ આપ્યા છે. 17 તથા 18 મેના રોજ રસીકરણ બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી આ મુદ્દે તમામ જિલ્લાઓને સૂચના આપી દેવામાં આવી છે.
વાવાઝોડાને લઈને CM રૂપાણીએ આપી જાણકારી
આ સિવાય તૌકતે વાવાઝોડાને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું કે સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના ત્યારે વાવાઝોડાથી વધુ નુકસાન ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. તમામ માછીમારો અને અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાપટ્ટી ઉપર વસતા લોકોનું આવતીકાલથી સ્થળાંતર શરૂ કરાશે. સીએમ રૂપાણીએ કહ્યું કે સૌરાષ્ટ્રમા 85 ICU એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે. પોરબંદર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદને સાવચેત કરાયા છે અને કાચા મકાનો, હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આપી છે. સાથે જ કોવિડ હોસ્પિટલમા ફરજિયાત જનરેટર રાખવાની સૂચના આપવામાં આવી છે.
તૌકતે વાવાઝોડાના સંકટને લઈને મહત્વના સમાચાર
કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. કર્ણાટકમાં ચાર તથા કેરળમાં બે લોકોના વાવાઝોડાના કારણે નિધન થયા છે.
આ જિલ્લાઓમાં પડશે ભારે વર્ષા
નોંધનીય છે કે અરબી સમુદ્રમાં આ વાવાઝોડાએ પોતાની તાકાત વધારી છે અને સ્પીડમાં વધારી છે. વાવાઝોડું પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતને ટકરાઇ શકે છે તથા જૂનાગઢ, ગીર સોમનાથ, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર, દીવમાં પડી શકે છે ભારે વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર 18 મેના રોજ પોરબંદર અને નલિયા વચ્ચે પહોંચી શકે છે.