રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતોને વધુ વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓછા વરસાદ ધરાવતા વિસ્તારો મુદ્દે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં 2 કલાક વધારે વીજળી આપવામાં આવશે. રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપી છે. આવતીકાલથી 2 કલાક વધારે વીજળી આપવામાં આવશે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે જાહેરાત કરી હતી કે ઓછો વરસાદ ધરાવતા અને જરૂરિયાત વાળા વિસ્તારોમાં વધુ બે કલાક કૃષિલક્ષી વીજ પુરવઠો પૂરો પડાશે
.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે વિધાનસભા ગૃહ ખાતે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને વધુ બે કલાક માટે કૃષિલક્ષી વીજ પુરવઠો પુરો પડાશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદો જુદો વરસાદ થયો છે ત્યારે જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે ત્યાં ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. જરૂરિયાત વાળા વિસ્તારોમાં જરૂર પડશે ત્યાં સુધી ખેડુતોને હાલ જે વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે એમાં આ બે કલાકનો વધારો કરાયો છે.
આ વધારાનો વીજ પુરવઠો ખેડૂતોને આપવા માટે રૂપિયા ૩૦૦થી ૫૦૦ કરોડની સબસીડી રાજ્ય સરકાર ખેડૂતોવતી ભોગવશે તેમ તેમણે જણાવ્યું હતું.
મહત્વનું છે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો વરસતા વાવણી નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વરસાદની આશાએ ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું હતું. ત્યારબાદથી વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં મધ્યમ વરસ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ પંથકમાં વરસાદની અછત વરતાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ સિંચાઈ માટે ખેડૂતોને 8ના બદલે 10 કલાક રાજ્ય સરકારે વીજળી આપી હતી. વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં સરકારે વધુ વીજળી આપવાનો નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં ગત વર્ષે કેટલાક વિસ્તારોમાં ખેતી માટે પર્યાપ્ત વરસાદ વરસ્યો ન હતો. જેથી કચ્છના ટપ્પર ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવ્યું હતું.
જોકે, રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે તાપી, વલસાડ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, નવસારીના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થયો હતો.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે અમદવાદમાં પણ બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવદમાં ધીમી ધારે વરસાદનુ આગમન થયું છે. આ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા પાકને પણ નવજીવન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઇ છે.