ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે બ્રાહ્મણોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે રૂપાણી સરકાર મોટી જાહેરાત કરી શકે છે. હાલ રાજ્ય સરકાર બ્રાહ્મણો અને મંદિરના પુજારીઓ માટે રાહત પેકેજ અંગે વિચારણા કરી રહી છે.
સરકાર બ્રાહ્મણો-પૂજારીઓ માટે કરી શકે છે મોટી જાહેરાત
કોરોનાથી બ્રાહ્મણો-પૂજારીઓની સ્થિતિ કફોડી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે આપ્યા આદેશ
કોરોના મહામારીએ દેશના અર્થતંત્રને ડામાડોળ કરી મુક્યું છે ત્યારે રોજ કમાતા લોકોની સ્થિતિ પણ ઘણી દયનીય બની છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓની યાદી તૈયાર કરવા માટે આદેશ આપ્યા છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે કલેક્ટરને પત્ર લખીને મંદિરો, પુજારીઓ અને બ્રાહ્મણો અંગે વિગતો મંગાવી છે. જોકે આ અંગે વિગતો સમય મર્યાદામાં પૂરી પાડવા અનુરોધ કરાયો છે. આ સર્વેની કામગીરી બાદ રાજ્ય સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. રાજ્ય સરકાર સર્વેના આધારે આગામી નિર્ણય લેશે. મહત્વનું છે કે આ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં 8000થી વધારે ગરીબ સનાતન બ્રાહ્મણો પુજારીઓ માટે માસિક 1000 રૂપિયા વેતન અને મફત આવાસની જાહેરાત કરી હતી.
બ્રાહ્મણોએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી હતી આ રજૂઆત
લૉકડાઉનને લઇને સ્થિતિ કથળતા કર્મકાંડી બ્રાહ્મણોએ મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓને સહાય અંગે રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે, રોજ કમાઇને ગુજરાન ચલાવતા કર્મકાંડી બ્રાહ્મણો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. કોરોના મહામારીના કારણે આર્થિક કાર્ય ન કરી શકતા હાલત દયનીય થઇ છે. ત્યારે હાલના તબક્કે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે માટે સરકાર કર્મકાંડી બ્રાહ્મણોની આર્થિક મદદ કરે. આ અગાઉ સામાજિક અને રાજકિય આગેવાનોએ પણ રાહત પેકેજ આપવા રજૂઆતો કરી હતી.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ?
રાજ્યમાં ગઇકાલે 1,410 નવા કેસ નોંધાયા હતા. જેને લઇને કુલ આંકડો 1,20,498 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 101101 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 3289 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16010 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.