રાજ્યમાં સરકાર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કોઈ ને કોઈ ખીચડી બનતી રહે છે. આમાંથી થોડી વાતો ગુપચુપ રહે છે અને થોડી વાત છાપરે ચડીને ચર્ચાય છે. આવામાં સૂત્રોના ગણગણાટ અનુસાર અત્યારે ગુજરાતમાં અમુક ચર્ચાઓએ જોર પકડીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વાતોમાં DGP શિવાનંદ ઝા, IAS અધિકારીઓ મનીષ ભારદ્વાજ, સોનલ મિશ્રા, મમતા વર્મા, સંજીવ કુમાર જેવા અધિકારીઓ રાજ્યભરમાં ચર્ચામાં છે.
શિવાનંદ ઝાની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસ બેડાની ધૂરા કોના હાથમાં?
પોલીસભવન ના અધિકારીઓ અને IAS અધિકારીઓ એ બાબત પર નજર રાખીને બેઠાં છે કે રાજ્યના પોલીસ વડા DGP શિવાનંદ ઝા જે આ એપ્રિલમાં નિવૃત થાય છે તેમને સરકાર એક્સ્ટેંશન આપે છે કે નહીં. નોંધનીય છે કે સરકારના માનીતા ગણાતા શિવાનંદ ઝા પહેલા પણ એમ કહી ચુક્યા છે કે તેમને એક્સ્ટેંશન લેવામાં રસ નથી. જો કે તેમને એક્સ્ટેંશન મળે કે ન મળે તે બાબતથી તેમના સાથી IPS અધિકારીઓના ભવિષ્યના પોસ્ટિંગ ઉપર મોટી અસર થશે એટલે ગણગણાટ વધી ગયો છે. હવે જોવું એ રહ્યું કે સરકાર ઝા સાહેબને એક્સ્ટેંશન આપે છે કે નહીં.
વધુ બે IAS દંપતિ દિલ્હી ડેપ્યુટેશનની વાટ પકડશે?
હવે ચર્ચા બીજી એ ચાલુ થઈ છે કે ગુજરાત સરકારના ગૌપાલન, મત્સ્યોદ્યોગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ ખાતાના સેક્રેટરી IAS મનીષ ભારદ્વાજ અને તેમના પત્ની નર્મદા યોજના , કલ્પસર યોજના, પાણી પુરવઠો, જળ સંસાધનના સેક્રેટરી IAS સોનલ મિશ્રા બંનેને જૂનમાં દિલ્હી ડેપ્યુટેશન ઉપર મુકવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવામાં સમાચાર આવ્યા છે કે ખાણ ખનીજ અને ઉદ્યોગ અને પ્રવાસન તથા તીર્થધામ ખાતાના સેક્રેટરી 1996ની બેચના IAS મમતા વર્મા અને તેમના પતિ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટ 1998ની બેચના IAS સંજીવ કુમારને પણ સરકાર આ વર્ષના જૂન મહિનામાં દિલ્હી તેડું મોકલશે એવી ચર્ચા છે. ગુજરાત કેડરના અધિકારીઓને ફાયદો મળે છે એવું ચર્ચાઓ પણ ચાલી રહી છે.
યુવા અધિકારીઓ ગયા હતા સિનિયર્સ પાસે પ્રોત્સાહન મેળવવા; સિનિયર્સે હતોત્સાહિત કરી દીધા!
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે હાલમાં IAS એસોસિએશન દ્વારા યોજાયેલા નિવૃત IAS અધિકારીના ફેરવેલ કાર્યક્રમમાં યુવા અધિકારીઓ સિનિયર અધિકારીઓ પાસેથી શીખ મેળવવાની આશા સાથે ગયા હતા. આ કાર્યક્રમમાં ઘણા સિનિયર અધિકારીઓએ સરકારમાં કામ કરવામાં કેટલી તકલીફો છે અને તેમને તેમની કારકિર્દીમાં ઘણું સહન કરવું પડ્યું છે એવી વાતો કહેતા સોપો પડી ગયો હતો. એવું કહેવાય છે કે એક અધિકારીઓ તો એટલી હદ સુધી કહ્યું કે સારા પ્રમોશન અને પોસ્ટિંગ જોઈતા હોય તો બોસ ઇઝ ઓલ્વેઝ રાઈટ (બોસ હંમેશા સાચો જ હોય છે) એવા સિદ્ધાંત કે પકડીને ચાલવું તો વળી બીજા એક અધિકારીએ એમ કહ્યું કે IAS અધિકારીઓએ જાહોજલાલી ભર્યું જીવન જીવવું જોઈએ! યુવા અધિકારીઓ તેમની કારકિર્દીની શરૂઆતમાં જ આવા વચનો સાંભળીને ડઘાઈ ગયા હતા.
કહેવાય છે કે સરકાર હવે જાણી ગઈ છે કે IAS અધિકારીઓ કરતા પોતાની સિદ્ધિઓના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરતા શાંતિથી અને નિષ્ઠાથી પોતાનું કરતા IAS અધિકારીઓ વધુ અસરકારક અને પ્રોડક્ટિવ છે. સૂત્રના જણાવ્યા અનુસાર આ સોશિયલ મીડિયાના પર સ્ટાર અધિકારી તરીકેની પોતાની ઇમેજ બનાવવા માટે અને પોતાનું માર્કેટિંગ કરવા માટે સોશિયલ મીડિયા ઇનફ્લુઅન્સર અને એજન્સી પાછળ પૈસા પણ ખર્ચે છે જેથી તેમની સિતારા જેવી છબી જળવાયેલી રહે. જો કે તેમની આ પ્રવૃત્તિથી સરકારને સ્થાનિક સ્તરે ચૂંટણી જીતવામાં કે અસરકારક રીતે કામો કરવામાં કોઈ ફાયદો મળતો નથી. તેથી સરકાર નારાજ હોવાનું ગાંધીનગરમાં ગણગણાટ શરૂ થયો છે.