ગુજરાત સરકાર મહેસૂલી આવક વધારવા માટે જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગું થાય તેવી શક્યતા છે. જેના કારણે આ વખતના બજેટનું કદ પણ વધી શકે છે.
જંત્રીના ભાવમાં વધારો કરવા સરકારની વિચારણા
મહેસૂલી આવક વધારવા સરકાર કરી શકે છે નિર્ણય
નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગુ થાય તેવી શક્યતા
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ નવી સરકાર બની ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતને પૂરપાટ ઝડપે આગળ ધપાવવા માંગે છે. તે જ કારણોસર ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી શક્ય નહીં બનેલો જંત્રીદર સુધારો હવે લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
જંત્રીમાં વધારો કરવા સરકારની વિચારણા
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસૂલી આવક વધારવા સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગુ થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે આ વખતના બજેટનું કદ પણ વધી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લે 2011માં જંત્રીમાં વધારો કરાયો હતો.
છેલ્લે 2011માં કરાયો હતો જંત્રીમાં વધારો
છેલ્લા 10 વર્ષમાં રાજ્યના મહાનગરો અને નગરોમાં પૂર ઝડપે વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે. તેમ છતાં વર્ષ 2011ની જંત્રી પ્રમાણે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય છે. તેના પરિણામે રાજ્ય સરકારને ખૂબ મોટું મહેસુલી આવકમાં નુકસાન થાય છે.
જમીન સંપાદનમાં સરકારને થાય છે મુશ્કેલી
આ ઉપરાંત બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાના કારણે જમીન સંપાદનમાં પણ સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો કરવો પડે છે. જમીનનો બજારભાવ ઊંચો અને જંત્રી ભાવ નીચો રહેવાના પરિણામે રાજ્ય સરકાર દ્વારા મહત્વના પ્રોજેક્ટોમાં જમીન સંપાદનને લઈ અનેક પ્રશ્નો સામે આવે છે. જેના પરિણામે વિકાસલક્ષી પ્રોજેક્ટ ખોરંભે ચડે છે.