ગાંધીનગરઃ નવરાત્રીની રજાઓને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે. અન્ય બોર્ડની શાળાઓને પોતાની રીતે રજાનો નિર્ણય લેવા સરકારે છૂટ આપી છે. પહેલા સરકારે તમામ શાળાઓને ફરજિયાત નવરાત્રી વેકેશન આપવા આદેશ કર્યો હતો. પરંતુ હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારે આ પ્રકારની સ્પષ્ટતા કરી છે. સરકારનો આ નિર્ણય ગુજરાત બોર્ડ સિવાયની શાળાઓને લાગૂ પડશે. ગુજરાત બોર્ડની શાળાઓમાં ફરજિયાત રજા રાખવી પડશે.
શિક્ષણવિભાગનો પરિપત્રઃ શાળાઓમાં નવરાત્રીનું વેકેશન 8 દિવસ રહેશે
નવરાત્રીના વેકેશનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ નવરાત્રી દરમિયાન શાળાઓમાં 8 દિવસનું વેકેશન રહેશે. આ વેકેશન આગામી 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધીનું હશે. પરિપત્ર મુજબ ગુજરાત બોર્ડની શાળાઓમાં વેકેશન લાગુ કરવા જાણ કરાઈ છે. નવરાત્રી સાથે-સાથે દિવાળી વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. દિવાળીનું વેકેશન 5 થી 18 નવેમ્બર સુધી રહેશે. 19મી નવેમ્બરથી તમામ શાળાઓમાં નવા સત્રની શરૂઆત થશે.
Association Of Progressive school દ્વારા સરકારને લખ્યો હતો પત્ર
રાજ્યસરકારે નવરાત્રીમાં જાહેર કરેલી રજાઓને લઈ CBSE સ્કૂલો અસમંજસમાં મુકાઈ હતી. એસોસિએશન ઓફ પ્રોગ્રેસીવ સ્કૂલ દ્વારા રાજ્ય સરકારને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલે પત્ર લખીને સરકાર પાસે વેકેશન અંગે સ્પષ્ટતા માંગી હતી. CBSE સ્કૂલને આ વેકેશન લાગુ પડશે કેમ તે અંગે પત્રમાં ખુલાસો માગ્યો હતો. મહત્વનું છે કે સરકારે જાહેર કરેલી રજામાં ગુજરાત બોર્ડ સિવાયની સ્કૂલોને વેકેશન લાગુ પડશે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી છે. જેમાં બોર્ડની શાળાઓને પોતાની રીતે રજાનો નિર્ણય લેવા સરકારે છૂટ આપી છે.