વિધાનસભામાં આજે સત્રનો ચોથો દિવસ છે. ત્યારે ચોથા દિવસે પાક વિમા માટે સરકાર વિધાનસભામાં આંકડા રજૂ કર્યા હતા. પાક વીમા માટે સરકારે વર્ષ 2017-18માં કુલ 1 હજાર 788 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું સ્વીકાર્યું છે. પાક વીમાના પ્રિમિયમ પેટે જુદી જુદી કંપનીને આ રૂપિયા ચૂકવાયા છે. જેમાં HDFC એગ્રો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને 711 કરોડ ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને 415 કરોડ ઈફ્કો ટોકિયો જનરલ ઈન્સ્યોરન્સને 70 કરોડ SBI જનરલ ઈન્સ્યોરન્સને 111 કરોડ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સને 15 કરોડ ચૂકવાયા છે. ત્યારે કંપનીઓએ 1 હજાર 788 કરોડ રૂપિયામાંથી ખેડૂતોને કેટલા રૂપિયા ચૂકવ્યા તેના પર પ્રશ્નાર્થ છે...?
સરકારે મગફળીમાં ગેરરિતીની વાત સ્વીકારી
ત્યારે મગફળીમાં ગેરરિતી થયાની વાત સરકારે સ્વીકારી છે. વિધાનસભા ગૃહમાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ટ્રક અને ટ્રેક્ટરમાં ભેળસેળ થતી હતી. આ વાત ધ્યાને આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ડીએસપીને સૂચના આપી હતી. ત્યારબાદ 30 લોકોની ધરપકડ પણ થઈ છે અને હજુ કેટલાક આરોપી જેલમાં છે.
વધુમાં નીતિન પટેલે કહ્યું કે આ કેસની તપાસ નિવૃત જજને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગૃહમાં જ્યારે આ મુદ્દે ઉઠ્યો ત્યારે બંને પક્ષ વચ્ચે શાબ્દિક ટપ્પણીઓ થઈ હતી. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સિટિંગ જજ દ્વારા સમગ્ર મામલે તપાસની માગણી કરી હતી. જોકે સરકારે આ માગણી ફગાવી હતી.