આવતીકાલે ઈદે-એ-મિલાદની ઉજવણીમાં જુલૂસને લઈ સરકારે SOP જાહેર કરી છે. મહત્તમ 400 લોકોની છૂટ આપવામાં આવી
જુલુસ કાઢવાના પરમિશનની માંગ બાદ સરકારની જાહેરાત
400 વ્યક્તિઓની મર્યાદામાં લોકો જુલુસમાં ભાગ લઈ શકશે
મહત્તમ 15 વ્યક્તિઓ વાહનમાં સામેલ થઈ શકશે
ઘણા સમયથી કોરોનાના કારણે ગુજરાતના લોકો પોતાના મનપસંદ ધાર્મિક તહેવાર ઉજવી શક્યા ન હતા. નવલા નોરતામાં મળેલી છૂટછાટ બાદ હવે સરકારે ઇદ એ મિલાદના જુલૂસ કાઢવાની પરમિશન આપી દીધી છે. જે માટે ગાઈડલાઇન જાહેર કરી છે કે જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે.તેમજ જુલુસમાં મહત્તમ 15 વ્યક્તિઓ વાહનમાં સામેલ થઈ શકશે જો મહોલ્લા સિવાય બહાર જુલૂસ કાઢવું હોય તો 15 લોકોની જ મંજૂરી આપવામાં આવી છે. સરકારે નવરાત્રીમાં પણ શેરી ગરબાની છૂટ આપી હતી, જે બાદ હવે શેરી જુલૂસ કાઢવાની શરતી મંજૂરી આપી દેવામાં આવી છે.
જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે
રાજ્યમાં 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકારે ચોક્કસ માર્ગ દર્શિકા જાહેર કરી છે. ઈદ-એ- મિલાદની ઉજવણીમાં એક જ વાહનમાં 15 વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે 400 લોકો જુલૂસમાં જોડાઈ શકે તેવી SOP સરકારે જાહેર કરી છે.તેમજ કુલ સરકારની માર્ગ દર્શિકા પ્રમાણે જૂલુસ માત્ર એક દિવસ પૂરતું જ મર્યાદિત રહેશે.ઈદ-એ-મિલાદનું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય એટલાંઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. ઈદ-એ- મિલાદના જૂલુસ દરમિયાન કોરોનાની કેન્દ્ર/રાજ્ય સરકારે સુચવેલી તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.
કોણે કરી હતી જુલુસ કાઢવાના પરમિશનની માંગ
ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા માટે નિયમમાં છૂટછાટ આપવા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ પીરજાદાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પરમિશન માંગી હતી. સાથે જ ગુજરાતના DGPને મળી જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય આયોજન કરવા તેમજ સાથ સહકારની અપીલ કરી હતી.
12 થી સવારે 6 સુધીનું રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે
રાજ્ય સરકારે એક સપ્તાહ પૂર્વે,રાત્રિ કર્ફ્યું અંગે સમય મર્યાદામાં વધારો કર્યો હતો. સરકારે 10 નવેમ્બર સુધી અમદાવાદ સહીત, રાજકોટ, સુરત, જૂનાગઢ, જામનગર, વડોદરા,ભાવનગર,અને ગાંધીનગર જેવા શહેરોમાં રાત્રિ કર્ફ્યું સમય મર્યાદા રાત્રે 12 થી સવારે 6 સુધી લાગૂ કરી છે. આ શહેરોના નાગરીકો દીપાવલીના દિવસો દરમિયાન પણ રાત્રિનાં 12 પછી હરી કે ફરી શકશે નહિ. રાજકોટમાં તો આતશબાજી પણ નહિ કરવા મહાપાલિકાએ નિર્ણય કર્યો છે.
કોની યાદમાં ઉજવાય છે ઈદ-એ-મિલાદ
ઈસ્લામ ધર્મના સ્થાપક અને મહાનઅંતિમ પેંગબર હઝરત મુહમદ સાહેબના જન્મોત્સવને ઈદે મિલાદ તરીકે ઉજવાય છે. આ વર્ષ 1450 જન્મ જયંતી ઉજવવામાં આવશે.