પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે 81 તળાવોનું ડેવલપમેન્ટ કરવાનો મહત્વનો નિર્ણય લીધો.
CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય
અમદાવાદમાં આવેલા 81 તળાવોનું કરાશે ડેવલપમેન્ટ
અત્યાર સુધીમાં અમદાવાદ મનપાને 21 તળાવો ફાળવાયા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવોનું ડેવલપમેન્ટ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને લેક ડેવલપમેન્ટ અંતર્ગત આ તળાવોની ફાળવણી કરી છે. લેક ડેવલપમેન્ટ અન્વયે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા હતા. ત્યારે આજે વધારાના 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
પર્યાવરણની જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા નિર્ણય લેવાયો
એવું કહેવાય છે કે, પર્યાવરણની જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તેમજ નગરજનો માટે હરવા-ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગ વધારવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
81 તળાવો મનપાને ફાળવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય
વધુમાં જણાવીએ તો, મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
આ તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરશે. માત્ર એટલું જ નહીં પરંતુ આ તળાવો બારેયમાસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રિ-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.
રાજ્ય સરકારે 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે
અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15માં નાણાંપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારના 21 તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે વધુ 81 તળાવો કે જે રાજ્ય સરકાર હસ્તકના છે અને AMCના હદ વિસ્તારમાં આવેલા છે, તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગરપાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે.