અમદાવાદમાં ફરી એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી અનાજનો નાનો જથ્થો નહીં પરંતુ 2500 કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 3 આરોપીની પણ ધરપકડ કરી છે. આ અનાજ કૌભાંડના તાર ફરી એક વખત નરોડા GIDC તરફ વળ્યા છે. હાલમાં પોલીસે આ રેકેટને લઈને વધુ તપાસ શરૂ કરી.
એક તરફ સસ્તા અનાજની દુકાનમાંથી રેશનિંગ કાર્ડ ધારકોને અનાજ મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો ગરીબોનું સસ્તું અનાજ બારોબાર વેચીને કૌભાંડ આચરી રહ્યા છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી ન કરાતા જાગૃત નાગરિક દ્વારા ઝોન 5 સ્ક્વૉડને અનાજની હેરાફેરીની બાતમી આપવામાં આવી હતી. જે આધારે નરોડા બાદ હવે ઓઢવમાં ફરી એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે.
પોલીસે 2500 કિલો અનાજનો જથ્થો કબ્જે
જેમાં ઝોન 5ના સ્ક્વોડે 2500 કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે 3 આરોપી સંદિપ જૈન, રમેશ ગીદવાણી અને જયંતી વછેટા વિરુધ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીઓ અમરાઇવાડીમાં આવેલા ગાયત્રી પ્રકાશ સસ્તા અનાજની દુકાનમાંથી જથ્થો ભરીને નરોડા GIDCમાં સ્વામિનારાયણ ટ્રેડિંગ કૉ કંપનીમાં આપવા જતા હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે અનાજના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધા.
ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ
ઝોન 5 સ્ક્વૉડ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર સંદિપ જૈન 2થી વધુ સસ્તા અનાજની દુકાનોના પરવાના ધરાવે છે. સુત્રોનુ માનીએ તો સંદિપ જૈન વર્ષોથી સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરી રહ્યો છે. પણ સંદિપ જૈનની પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાના કારણે અધિકારીઓ પણ કોઈ કાર્યવાહી કરવાને બદલે છાવરતા હતા. જોકે જાગૃત નાગરિકની બાતમી આધારે ઝોન 5 સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પૂરવઠા વિભાગના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી
હાલ તો ઓઢવ પોલીસે 2500 કિલો ઘઉં રેશનિંગની દુકાનના છે કે કેમ તે અંગે પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી ખરાઈ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે જો ઓઢવ પોલીસ દ્વારા આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, તો આ કૌભાંડમાં પૂરવઠા વિભાગના અધિકારીઓની પણ સંડોવણી સામે આવી શકે છે.