ભારત સરકારે 2 વેક્સિનને મંજૂરી આપી દીધી છે. વેક્સિનને મંજૂરી મળતા ડૉક્ટરોએ રાહતનો શ્વાસ લીધો છે. સતત 10 મહિનાથી કોવિડની ડ્યુટીમાં લાગેલા ડૉક્ટરો ખુશ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વૈજ્ઞાનિકોની સિદ્ધીને લોકોએ વધાવી છે. તેવામાં હવે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. મોના દેસાઇએ કોરોના વેક્સિનને લઇને મહત્વપૂર્ણ માહિતી આપી છે.
ભારત સરકારે 2 કોરોના વેક્સિનને આપી મંજૂરી
કોરોના વેક્સિનને મંજૂરી મળતા ડોક્ટર્સમાં ખુશી
રાજ્ય સરકારે ડોક્ટર્સને મફત વેક્સિનનો નિર્ણય કર્યો
દેશમાં બે વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે વપરાશની મંજૂરી મળી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન રસીને પણ મંજૂરી મળી છે. DCGIએ બંને વેક્સિનને મંજૂરી આપતા ડોક્ટર્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વેક્સિન લીધા બાદ સામાન્ય આડઅસર થઇ શકે છે, તેથી ગભરાવું નહીંઃ મોના દેસાઇ
તો રાજ્ય સરકારે ડોક્ટર્સને મફત વેક્સિનનો નિર્ણય કર્યો છે. જેને અમદાવાદ મેડિકલ એસોસિએશને નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસો. સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. મોના દેસાઇએ VTV News સાથે વાતચીત દરમિયાન કોરોના વેક્સિનને લઇને કહ્યું કે, વેક્સિન લીધા બાદ માઇનોર આડઅસર થઇ શકે છે. જોકે આ સ્થિતિથી કોઇએ ગભરાવું નહીં. વેક્સિન લીધા બાદ પણ કોવિડ નિયમનું પાલન કરવું જરૂરી છે.
વેક્સિનને મંજૂરી મળી તે અમારા માટે મહત્વના સમાચારઃ ડૉકટર
ડૉકટરોએ કહ્યું અમે વેક્સિનની રાહ જોઈ રહ્યા હતા. મેડિસિન વિભાગના હેડ ડો.કમલેશ ઉપાધ્યાયે કહ્યું કે, વેક્સિનને મંજૂરી મળી તે અમારા માટે મહત્વના સમાચાર છે. અત્યાર સુધી અનેક ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફે જીવ ગુમાવ્યા છે. વેક્સિન આવતા ડોક્ટર્સનો ઉત્સાહ વધશે.
નવા વર્ષે કોરોનાની 2 વેક્સિનને મંજૂરી મળતા લોકોમાં ઉત્સાહ
વૈજ્ઞાનિકોની સિદ્ધીને લોકોએ વધાવી છે. જનતાએ કહ્યું કે, એક વર્ષના ખરાબ સમયનો હવે અંત આવશે. કોરોના વાયરસથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકો ઘરમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા હતા. રસીકરણ કાર્યક્રમ ઝડપથી શરૂ થાય તેવી લોકોને આશા છે.
વેક્સિનનો જે ખર્ચ આવશે તે રાજ્ય સરકાર કરશેઃ DyCM નીતિન પટેલ
DyCMએ કહ્યું કે, ભારત સરકાર વેક્સિનના ડોઝ ફાળવશે. રાજ્ય સરકાર પાસે તમામ પ્રકારના ડેટા તૈયાર છે. કોને કયા સ્થળે વેક્સિન આપવી તે પણ નક્કી થઈ ચૂક્યુ છે. વેક્સિનનો જે ખર્ચ આવશે તે રાજ્ય સરકાર કરશે. અત્યાર સુધી પ્રજા પાસેથી કોઇપણ પ્રકારના પૈસા વસૂલવામાં આવ્યા નથી તો વેક્સિનના ખર્ચનો બોજો પ્રજા પર નહીં આવે. 2-3 દિવસમાં ગુજરાતને વેક્સિનનો જથ્થો મળશે.
કોરોના વેક્સિનની મંજૂરી પર CM રૂપાણીનું નિવેદન
CMએ કહ્યું કે, DCGIએ 2 વેક્સિનને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ વેક્સિનેશન શરૂ કરીશું. 4 તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. તમામ સર્વે પૂર્ણ, ચાર તબક્કાના લીસ્ટ પણ તૈયાર છે. વેક્સિન આવ્યા બાદ તાત્કાલિક વેક્સિનેશન શરૂ થશે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ડોક્ટર અને નર્સને વેક્સિન અપાશે. બીજા તબક્કામાં કોરોનાકાળમાં કામ કરનાર કર્મીઓને વેક્સિન અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને વેક્સિન અપાશે. ચોથા તબક્કામાં ગંભીર બિમારીવાળા 50 વર્ષથી ઓછી ઉમરવાળા વેક્સિન અપાશે.
વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છેઃ DCGI
SEC દ્વારા બે કોરોના વેક્સિન માટે ભલામણ મળી હતી. સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની રસીની રજૂઆત મળી હતી. વેક્સિનના 3 તબક્કાના પરિક્ષણ કરાયા હતા. એસ્ટ્રાજેનેકાએ વેક્સિનના ટ્રાયલના ડેટા સબમિટ કર્યા છે. 16 હજાર લોકો પર વેક્સિનનું ટ્રાલય કરાયું હતું. ભારત બાયોટેકની કોવેક્સિનની પણ ભલામણ મળી હતી. ભારતની 3 સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વેક્સિન બનાવી છે. ઉંદર, સસલા પર કોવેક્સિનનું પરીક્ષણ કરાયું હતું. કોવેક્સિનનું માનવ પર પણ પરીક્ષણ કરાયું હતું. કોવેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. 22 હજાર લોકો પર કોવેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યો છે. SEC દ્વારા કોવેક્સિનની મંજૂરી માટે ભલામણ કરી છે. કેડિલા દ્વારા બનાવાઇ રહેલ વેક્સિનનું ત્રીજુ ટ્રાયલ ચાલી રહ્યું છે. અત્યાર સુધી કોઇ પણ પ્રકારની હાનિકારકઅસર જોવા નથી મળી. 26 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે.
ઝાયડસ કરશે ત્રીજા તબક્કાનું પરિક્ષણ
ઝાયડસ કેડિલા ત્રીજા તબક્કા માટે વેક્સિનનું પરિક્ષણ કરશે. ક્લિનિકલ ટ્રાયલ માટે ઝાયડસની વેક્સિનને મંજૂરી મળી છે. પ્રથમ 2 તબક્કામાં ક્લિનિકલ ટ્રાયલ સુરક્ષિત રહ્યું. ત્રીજા તબક્કામાં 30 હજાર વોલિયન્ટર્સ પર ટ્રાયલ થશે. DCGIએ ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે મંજૂરી આપી છે. ઝાયડસ કેડિલા ઝાયકોવ-ડી નામની વેક્સિન તૈયાર કરી રહ્યુ છે.