ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓને મા કાર્ડ અંતર્ગત સારવાર મળશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ હકીકત કઈક જુદી છે. હજુ સુધી સારવાર મળવાની શરૂઆત નથી થઈ. VTVના રીપોર્ટરે મા કાર્ડ હેલ્પલાઇનમાં કોલ કર્યો ત્યારે આ વાતનો ખુલાસો થયો.
ગુજરાત સરકારે સહાય જાહેર કર્યાના 15 દિવસ સુધી હજુ અમલીકરણ નહીં
12 મેના રોજ ગુજરાત સરકારે મા કાર્ડના લાભાર્થીઓને 50 હજાર સુધીની સહાય જાહેર કરી હતી
દરરોજ 5 હજારના લેખે 10 દિવસ સુધી કોરોનામાં સારવારની જાહેરાત હતી
આજ દિન સુધી હજુ હોસ્પિટલમાં અમલવારી નથી થઈ તેવું મા હેલ્પલાઈનમાંથી મળ્યો જવાબ
કોરોનાની બીજી લહેરે માનવજાતને એવા મૂકામ પર લાવીને મૂકી દીધી છે કે ત્યાંથી આગળ હમણાં કશું દેખાતું નથી, હરએક દિવસ અનેક સવાલો સાથે ઊગી રહ્યો છે અનેક સાંજ અનેક આશંકાઓ સાથે ઢળી રહી છે, કરોડો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તો આખે આખા પરિવારો મહામારીની ગર્તમાં ધકેલાઈ ગયા હોવાના કિસ્સાઓ કંઈ ઓછા નથી, કોઈ બુઝુર્ગની ઘડપણ લાકડી છીનવાઈ ગઈ છે તો, તો અનેક બાળકો છત્રછાયા વિનાના નોંધારા બની ગયા છે, આજે હરએક ઘરમાં શૂન્યની કારમી ગૂંજ સંભળાઈ રહી છે એ શૂન્યની ગૂંજ સ્વજનો ગુમાવ્યાની અને મરણમૂડી ધોવાઈ ગયાની હોય છે, પરંતુ સરકારના ચોપડે આ શૂન્ય માત્ર મૃત્યુઆંક બનીને યોજનાઓ બનાવવાનું એક ઘટક બની ગયો છે.
એટલે જ તો મૃત્યુને સંવેદનાથી જોવાની બદલે આંકડાઓથી મપાઈ રહ્યું છે....એટલે જ આજે સરકારી નજરે દરેક દર્દીને માનવ તરીકે જોવાના બદલે માથે આવી પડેલી અણગણતી જવાબદારી તરીકે જોવાઈ રહ્યો છે, તો તકસાધુઓને આફતમાં અવસર દેખાઈ રહ્યો છે, તેઓ દર્દીઓને રોકડી કરી લેવાનું સાધન અને માધ્યમ સમજી રહ્યા છે, એનું જ કારણ હતું કે, મહામારીની બીજી થપાટમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર મળવી એ રણમાં પાણી મળવા કરતા પણ વધારે કઠીન હતી અને કાળાબજારની હાટડીમાંથી ઈંજેક્શન મેળવવા એ સાવ આસાન હતું.
સહાય પણ મોડી જાહેર કરી, હવે અમલીકરણ પણ મોડું
કોરોનાની બીજી લહેરમાં જોયેલા કરૂણ દ્રશ્યો તો ક્યારેય નહી ભૂલી શકાય પરંતુ આ લહેરમાં લોકોએ જે આર્થિક પાયમાલી વહોરી તેનો ખાડો પણ દાયકાઓ સુધી ભરવો એ પરિવારો માટે મુશ્કેલ છે, અને મુશ્કેલ સ્થિતિમાં દરેકને 'મા'ની યાદ આવે તે સ્વભાવિક છે. આજ સ્વભાવિક પણે સરકારને પણ 'મા'ની યાદ આવી. આ મા એટલે મુખ્યમંત્રી મા અને મા અમૃતમ યોજના. સરકારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા માટે નિકળી પડે તે ખુબ મોડે મોડે એવી જાહેરાત કરી કે મા કાર્ડ ધારકોને કોરોનાની સારવાર મફતમાં આપવામાં આવશે. સરકારની જાહેરાત પ્રમાણે 10 જુલાઇ સુધી કોરોનાને મા કાર્ડમાં સમાવેશ કરાયો અને રોજની 5 હજાર રૂપિયાની મર્યાદામાં 10 દિવસ સુધીનો સારવારનો ખર્ચ સરકાર ભોગવશે તેવું જણાવામાં આવ્યું. આમ સરકારે કોરોનામાં મા કાર્ડનો ઢંઢેરો પીટી નાખ્યો.
10 જુલાઈ સુધી કોરોનાની સારવાર મા યોજના અંતર્ગત મળવાની છે
સરકારની જાહેરાતને ઢંઢેરો શા માટે કહેવું પડે છે તેની પાછળ પણ મોટા કારણો કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે "મને ખબર નથી" એ જ ઢબે વહીવટ થાય છે. સરકારને ખબર હોય કે ન હોય પણ જનતાને બધી ખબર છે, અને જેને ખબર નથી તેના માટે આ ખબર છે કે, સરકારની જાહેરાત બાદ પણ હજુ સુધી મા કાર્ડ અંતર્ગત કોરોનાની સારવાર શરૂ કરવામાં નથી આવી. 10 જુલાઈ સુધી સારવાર આપવાની વાતો કરનારી સરકારે સારવારના શ્રી ગણેશ પણ નથી કરાવ્યા. આ વાતનો બોલતો પુરાવો નીચે ઓડિયો રેકોર્ડિંગ સ્વરૂપે આપ્યો છે.
પરિપત્ર મળ્યો છે પરંતુ ટૂંક સમયમાં અમલીકરણ થશે : હેલ્પલાઈનનો જવાબ
વાત એવી છે કે, અમારા રિપોર્ટરે મા કાર્ડની હેલ્પલાઇનમાં કોલ કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે શું ખરેખર સરકારની જાહેરાતનું અમલીકરણ થઈ રહ્યું છે કે પછી માત્ર બણગા જ સાબિત થઈ રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે, મુખ્યમંત્રીએ 12 મેએ આ જાહેરાત કરી હોવા છતા બે અઠવાડિયા સુધી તો જેતે વિભાગને પરિપત્ર પણ ન મળ્યો અને જ્યારે પરિપત્ર મળ્યો તો તેની અમલવારી ક્યારથી થશે તે જાહેર ન કરતા અમલવારી ચાલુ નથી થઈ. નીચેના ઓડિયોમાં સાંભળો હેલ્પલાઇનમાં જવાબ મળ્યો..
તો સારવાર ક્યારે મળશે?
સરકાર પર સવાલ એ ઊઠી રહ્યા છે કે, આ મહામારીની વચ્ચે પણ જાહેરાત બાદ હજુ સુધી મા કાર્ડ અંતર્ગત સારવાર મળવાની શરૂઆત નથી થઈ તો આ વાતની ગંભીરતા ક્યારે સમજાશે? દર્દીઓને શું મહામારી પુરી થયા બાદ સારવાર આપવાની યોજના છે?