બુધવારે CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ મળશે. સુરતમાં શાળા નજીક આગનો મુદ્દો, ફાયર સેફ્ટી સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા થશે. ત્યારે રાજ્યમાં ફાયર સેફ્ટી મામલે આગામી સમયમાં રાજ્ય સરકાર મહત્વના નિર્ણયો લેશે તેમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.
ત્યારે સુરતમાં તક્ષશિલાકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ફાયરની પોલીસીમાં ફેરફાર કરવામાં આવશે. આગામી વિધાનસભા સત્રમાં ફાયર પોલીસી અંગે વિધેયલ લવાશે. તક્ષશિલાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી થશે. જ્ઞાનગંગા શાળાની ઘટનાને તક્ષશિલાકાંડ સાથે જોડી શકાય નહીં. તક્ષશિલામાં બહાર નિકળવાનો કોઇ રસ્તો ન હતો. બહાર નિકળવાનો રસ્તો હોત તો બાળકોના જીવ બચાવી શક્યા હોત. બિલ્ડરે જ રસ્તો બંધ કરી દીધો હતો.
મહત્વનું છે કે, સુરતમાં ભટાર રોડ પર આવેલ બાલકૃષ્ણ કોમ્પેક્ષની બાજુમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. જે સમયે કોમ્પલેક્ષની અંદર શાળા ચાલુ હતી. શાળાની અંદર 150 વિદ્યાર્થીઓ તે સમયે અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ એકાએક આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. બાળકોમાં ભય ફેલાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. જોકે ઘટના અંગે જાણ થતા જ તાત્કાલીક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. વિદ્યાર્થીઓનું રેસ્ક્યું કરાયું હતું. તેમજ ફાયર વિભાગ દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી એક મહિના પહેલા સુરતમાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં ટેકનિકલ ખામીના કારણે ભીષણ આગ લાગી હતી. જેમાં 20થી વધુ વિદ્યાર્થીઓના મોત થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઇને કેન્દ્ર સરકાર દ્વારા પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે. ત્યારે હવે ફાયર પોલીસીને લઇને કેટલાક નિર્ણયો લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.