ગાંધીનગર ખાતે પાક વીમા અને પાક નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કૃષિ મંત્રી આર.સી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. જેમાં વરસાદથી પાકમાં થયેલા નુકસાન મુદ્દે ચર્ચા થઇ છે.
રાજ્યમાં આ વર્ષે જરૂરીયાત કરતા વધુ વરસાદઃ ના. મુખ્યમંત્રી
વરસાદના કારણે પાકને ખુબ નુકસાન, સરકાર આપશે સહાયઃ ના. મુખ્યમંત્રી
સરકાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છેઃ ના. મુખ્યમંત્રી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેમને પાક વીમો નથી લીધો તેમને પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. મહા વાવાઝોડને લઇને નુકસાનની ભીતિ હતી પરંતુ આ વાવાઝોડું ટળી ગયું છે તેનાથી કોઇ નુકસાન નથી થયું. પરંતુ જ્યારે આ વાવાઝોડાના કારણે તૈયાર પાકને નુકસાન થયું હોય ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે.
ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન મુદ્દે અપાશે સહાય
કપાસ અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. તેથી ખેડૂતોને પાકમાં નુકસાન મુદ્દે સહાય અપાશે. સર્વે પૂર્ણ કરી ઝડપથી વળતર ચુકવવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ અગાઉ જ આ મુદ્દે જાહેરાત કરી છે. આજે રિવ્યુ બેઠક યોજાઇ હતી. કૃષિ વિભાગે 5 લાખ હેક્ટર કરતા વધુ જમીન પર સરવેની શરૂઆત કરી છે. 3 લાખ હેક્ટર જમીન પર સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે.
પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તે જરૂરી
પાક વીમાનું રક્ષણ મેળવવાનો ખેડૂતનો અધિકાર છે. વાવેતર ન થયું હોય તેવા કિસ્સામાં પણ સહાય મળે છે. પાક ઉગ્યા બાદ નુકસાનના કિસ્સામાં પણ સહાય મળે છે. ક્રોપ કટિંગમાં ઉત્પાદનની ઘટમાં પણ સહાય મળે છે. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તે જરૂરી છે. વીમા કંપનીઓ સાથે સરકાર સંપર્કમાં છે.
પાક વીમા સિવાયના ખેડૂતોને રાજ્ય સરકાર સહાય કરશે
મહા વાવાઝોડાના કારણે નુકસાન મુદ્દે પણ સરવે શરૂ કરાયો છે. વધુમાં વધુ 7 દિવસમાં ખેડૂતોની અરજી પર સરવે પૂર્ણ કરાશે. ખેડૂતોને ઝડપથી વળતર આપવા માટે કટિબધ્ધ છીએ. 22 જેટલા જિલ્લામાં સરવેની કામગીરી ચાલી રહી છે. મગફળી ભીંજાયેલી હોવાથી ખરીદી બંધ રાખી છે. ખેડૂતોની રજૂઆતો મળ્યા બાદ ખરીદી બંધ કરાઇ હતી. મગફળી સુકાશે ત્યારબાદ ખરીદી શરૂ કરાશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારે કૃષિવિભાગને જણાવ્યું છે કે, ઉદારતાથી સરવેની કામગીરી કરવામાં આવે.