પાટીદાર અનામત આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અનામત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાનો રાજ્ય સરકારને નિર્ણય લીધો છે.
ચૂંટણી પહેલા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચાયા
રાજ્ય સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા
ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે. ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ ગુજરાતમાં પાટીદાર આગેવાનોમાં મોટું નામ ધરાવતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પણ નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. આ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પરત ખેંચ્યા છે. પાટીદાર નેતાઓ દ્વારા અનેક વખત માગ કરાઈ હતી. રાજ્ય સરકાર કેસ પરત ખેંચવા સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે. 15 એપ્રિલે આ અંગે કોર્ટમાં સુનાવણી થશે.
કોર્ટમાં હજુ કેટલા કેસ પેન્ડિંગ ?
પાટીદારોના કેસ પરત ખેંચવા સરકારનું પોઝિટિવ વલણ સામે આવી રહ્યું છે. રાજ્યની અલગ અલગ કોર્ટમાં સરકારે કેસ પરત ખેંચવા અરજી કરી છે. અત્યાર સુધીમાં કોર્ટે પાટીદારો સામેના 48 કેસ પરત ખેંચ્યા છે. હજી રાજ્યની કોર્ટોમાં 178 કેસ પાટીદાર સામે પેન્ડિંગ છે. સરકારે 235 કેસની યાદી કોર્ટેને સોંપી હતી. આંદોલન સમયે ટોટલ 900 કેસ નોંધાયા હતા.
કયા કેસ પરત ખેંચાયા?
રાજ્ય સરકારે 10 કેસ પરત ખેંચ્યા છે જેમાંથી કૃષ્ણનગરમાં 2 કેસ નોંધાયેલા હતા. નરોડા, રામોલ, બાપુનગરમાં 1-1 કેસ હતા. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ, સાબરમતી, શહેરકોટડામાં 1-1 કેસ હતા. નવરંગપુરામાં પણ એક કેસ નોંધાયેલો હતો. સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત ખેંચાયા. મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા. તો હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે. હાર્દિક સામેના 2 કેસ પરત ખેંચવાની તૈયારી.
હાર્દિક પટેલના કેસનું શું થયું ?
રાજ્ય સરકારે પરત ખેંચેલા 10 કેસમાં હાર્દિક પટેલ સામેના કેસનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત જાહેરનામા ભંગના કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે હવે આગામી સમયમાં હાર્દિક પટેલ સહિત પાટીદારોના કેસ પરત ખેંચવા સરકારનો પોઝિટિવ વલણ અપનાવી શકે છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવાની સરકારે તૈયારી દર્શાવી છે. તો હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો એક કેસ પેન્ડિંગ છે.
બીજા કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી અમને આશાઃ અલ્પેશ કથિરીયા
પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, હાલ ગુજરાતમાં અલગ અલગ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે તેમાંથી 10 કેસમાં સરકાર પોઝિટીવ રીતે આગળ વધી રહી છે. બીજા કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી અમે આશા રાખીએ છીએ. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, સુરતમાં થયેલા કેસોનો ક્યાંય ઉલ્લેખ કરાયો નથી. અત્યારે માત્ર અમદાવાદના કેસ પરત ખેંચાયા છે.
ભાજપ નેતા નેતા વરૂણ પટેલે કહ્યું કે, ગુજરાતની સરકારે અત્યાર સુધીમાં અનેક કેસ પરત ખેંચી લીધા. આવનારા દિવસોમાં પાટીદાર અનામત આંદોલનના તમામ કેસ પરત લેવામાં આવશે. સરકાર સારા નિર્ણયો લેતી હોય તેના સારા પરિણામ મળતા જ હોય છે.
સરકાર ઇચ્છે તો એક સાથે તમામ કેસ પરત ખેંચી શકેઃ પાસ નેતા ધાર્મિક માલવિયા
પાસ નેતા ધાર્મિક માલવિયાએ કહ્યું કે, 200થી વધુ પાટીદારો પર કેસો છે તેમાંથી માત્ર 10 કેસોને જ પરત લેવાયા છે. સરકારે જો મુદ્દાનો અંત લાવવો હોય તો તેને સંપૂર્ણ સત્તા છે કે એક જ ઝાટકે તમામ કેસ પરત ખેંચી શકે છે. સરકારની ઇચ્છાશક્તિનો અભાવ છે. જો ભાજપ કેસ પાછા ખેંચવા હોય તો કોઇ સમય પસાર કરવાનો રહેતો નથી. રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 3-4 વર્ષથી રાજનીતિનો મુદ્દો બનીને ભટકી રહ્યો છે.
હાર્દિક અને અલ્પેશ પરના કેસ અંગે પાસ ટીમના સભ્ય માલવિયાએ કહ્યું કે, સ્પષ્ટતાપૂર્વક અલ્ટિમેટમ આપ્યું છે કે, 23 માર્ચ સુધીમાં સરકાર આ બાબતે નિર્ણય નહીં લે તો પાટીદારો દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે. તમામ કેસ પરત ખેંચાઇ શકે તેમ છે તો સરકાર જો તમામ કેસ પરત ખેંચે તો પાટીદારો તે નિર્ણયને આવકારવા તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અગ્રણી નરેશ પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે કોંગ્રેસ અને PAASના આગેવાનો ખોડલધામ ખાતે બેઠક થઇ હતી. જેમાં નરેશ પટેલના રાજનીતિમાં જોડાવા અને પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા પર ચર્ચા થઇ હોવાનું મનાઇ રહ્યું છે. ત્યારે હવે આજે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.