વિધાસહાયક ઉમેદવારો માટે દિવાળી પહેલા સારા સમાચાર આવી ગયા છે. 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી 2600 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી છે.
આ ભરતીમાં જ ગણિત-વિજ્ઞાન માટે 750 અન્ય ભાષાના વિષયો માટે 250ની ભરતી જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી થશે. અગાઉની જાહેરાત મુજબ વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા વધારાના ગુણ મળશે.
મહત્વનું છે કે 4 ઓકટોબરના રોજ વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છેહતી. જે પ્રમાણે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના ૫ ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦ ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના ૫૦ ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના ૫ ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. તેમ જણાવાયું છે. વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે તેમ પ્રસિદ્ધ કરાયું હતું જે મુજબ 2600 વિદ્યાસહાયકોની ભરતી જાહેર થતાં વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા લાભ આપી દેવાયો છે.