ઉદ્યોગ જગત અને લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે રાજ્યમાં યુનિટદીઠ વીજદરમાં ઘટાડાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાતથી 1.40 કરોડ જેટલા
રાજ્યના ગ્રાહકોને ફાયદો થશે. મહત્વનું છે કે, મોરબીમાં અગાઉ સિરામિક ઉદ્યોગકારોએ વીજઘટાડાની માંગી કરી હતી જે માંગને સરકારે સ્વીકારી છે.
ઉર્જામંત્રી સૌરભ પટેલની મહત્વની જાહેરાત
ઉદ્યોગ જગત અને રાજ્યના લોકોને થશે ફાયદો
પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરાયો
દિવાળી પહેલા ગુજરાતીઓ માટે ખુશખબર આવ્યા છે. ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલે મોરબીમાં એક કાર્યક્રમ દરમિયાન વીજળી દર અને ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી છે. 3 મહિના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ફ્યુઅલ સર ચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2 રૂપિયા પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જ હતો તેને એક રૂપિયા 81 પૈસા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજીત 1 કરોડ જેટલા વીજધારકોને 3 મહિનાના 356 કરોડનો ફાયદો થશે. મહત્વનું છે કે, આ સાથે કોલસા ગેસના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે.
ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો ગ્રાહકોના હિતમાં કર્યા છે, જેના ભાગરૂપે રાજ્ય સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 19 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના અંદાજે 1.40 કરોડથી વધુ ગ્રાહકોને ત્રણ મહિનાના રૂપિયા ૩૫૬ કરોડની રાહતોના લાભ મળશે.
વધુમાં સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વીજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી વીજ બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવે છે. આ ફ્યુઅલ સરચાર્જની વસુલાત નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલાના આધારે વસૂલવામાં આવે છે. પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે જુલાઇ-2020થી સપ્ટેમ્બર-2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ સર ચાર્જની વસુલાત પ્રતિ યુનિટ રૂ 2.00 પૈસા લેખે વસૂલાતી હતી. તેની સામે ઓકટોબર-2020 થી ડિસેમ્બર-2020 ના ત્રિમાસિક ગાળા દરમિયાન ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂપિયા 1.81ના દરે વસૂલવાનો થાય છે આમ ગત ત્રિમાસિક ગાળા કરતાં આ ત્રિમાસિક ગાળામાં ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટમાં 19 પૈસાનો ઘટાડો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસાની ઉપલબ્ધતા તેમજ સસ્તા ગેસની ઉપલબ્ધતાના કારણે થયો છે આ ઘટાડાના કારણે વીજ ગ્રાહકોને રૂપિયા 356 કરોડની રાહત મળશે.