તાઉતે વાવાઝોડા બાદ અતિવૃષ્ટિના કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પાકને મોટાપ્રમાણમાં નુકસાની થઇ છે. ત્યારે હવે ખેડૂતો માટે આવતીકાલે રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
ખેડૂતો માટે આવતીકાલે રાહત પેકેજની થશે જાહેરાત
અતિવૃષ્ટિથી નુકસાનના સહાયની જાહેરાત થશે
વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં અપાશે સહાય
અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર આવતીકાલે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ કૃષિ પેકેજ જાહેર કરવામાં આવશે. તો રાજ્ય સરકારનું આ કૃષિ પેકેજ કેવુ હશે, જાણો... જેમાં રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર 13000 હજાર રુપિયા સહાય કરશે. અતિવૃષ્ટિને લીધે 15થી વધુ તાલુકામાં ખેતીને નુકસાન થયું છે. આવતીકાલે કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવશે. જેમાં વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય અપાશે. 33% કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને જ સહાય અપાશે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જીલ્લાના ખેડૂતોને સહાય મળશે. SDRFના ધોરણ કરતા વધારાની રકમ રાજ્ય સરકાર બજેટમાંથી આપશે. ઓછામાં ઓછા 5000 સહાય ચુકવાશે. 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ખેડૂતો માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરે તે આવકાર્ય: આંબલિયા
આવતીકાલે કૃષિ સહાય પેકેજ જાહેર થવાનું છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ થાય. ખેડૂતો માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરે તે આવકાર્ય છે. ખેડૂતોને મળવાપાત્ર હક્ક પહેલા આપીને વધારાની સહાય જાહેર કરે. વર્તમાન કાયદાઓ યોજનાઓને કોરાણે મૂકવામાં ન આવે. સરકાર ખેડૂતો પર અહેસાન કરતું આર્થિક પેકેજ આપવાનું નાટક ન કરે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવામાં આવે. SDRF મુજબ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે. નેચરલ કેલામીટી એકટ મુજબ વળતર આપવામાં આવે.
પ્રમુખ ભારતીય કિસાન સંઘના નેતા દિલીપ સખીયાએ કહ્યું કે, ખેડૂતોને આ વખતે કુદરત તરફથી અનેક ફટકા મળ્યા છે. સરકાર અમુક તાલુકા, ગામડાઓને જ સહાય ચુકવશે. લગભત તમામ જગ્યાએ 33 ટકાથી વધુ નુકશાન થયું. સરકારી સહાય તમામ ખેડૂતોને મળવી જોઈએ. રૂ.13 હજારની હેક્ટર દીઠ સહાય મોંઘવારી પ્રમાણે ઓછી છે. સહાય ચૂકવવામાં સૌરાષ્ટ્રના એકપણ ગામની બાદબાકી ન થાય.