રાજ્યમાં સરકાર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે કોઈ ને કોઈ ખીચડી બનતી રહે છે. આમાંથી થોડી વાતો ગુપચુપ રહે છે અને થોડી વાત છાપરે ચડીને ચર્ચાય છે. આવામાં સૂત્રોના ગણગણાટ અનુસાર અત્યારે ગુજરાતમાં અમુક ચર્ચાઓએ જોર પકડીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વાતોમાં ટ્રમ્પની મુલાકાત વખતે અધિકારીઓની હૈયાવરાળ, IAS અધિકારીઓની કથિત અંધશ્રદ્ધા, ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, ગાંધીનગરમાં પોલીસ કમિશનર પદ લાવવાની DGP ઝાનું સૂચન વગેરે જેવા મુદ્દાઓ આજકાલ ચર્ચામાં છે.
ટ્રમ્પની ગુજરાત વિઝિટમાં સરકારે માનીતા અધિકારીઓને જ સ્થાન આપ્યું? અધિકારીઓનો બળાપો!
ગુજરાત તેની વાઇબ્રન્ટ સમિટ માટે દુનિયાભરમાં જાણીતું છે. આ સમિટમાં અગત્યના કામો માટે સરકાર ફક્ત તેમના માનીતા બ્યુરોક્રેટિક અધિકારીઓને જ સંપર્ક કરે છે એવી બૂમો પહેલા પણ સાંભળવા મળી છે. હવે આ ફરિયાદ ટ્રમ્પની મુલાકાતમાં પણ બહાર આવી છે તેવા સમાચાર છે. કેટલાક સિનિયર અધિકારીઓએ આક્રોશ ઠાલવ્યો છે કે આ વખતે પણ વાઇબ્રન્ટ સમિટની જેમ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતમાં સરકારે તેમના ફેવરિટ અધિકારીઓને ફિલ્ડ પર રાખ્યા છે અને કામે લગાડ્યા છે અને તેટલા વરિષ્ઠ અધિકારીઓને આ ઇવેન્ટથી દૂર રાખવાનું પસંદ કર્યું છે. જો આ વાત સાચી હોય તો આ અધિકારીઓ સામે સરકારને શું વાંધા છે તે હવે જાણવા જેવો પ્રશ્ન છે.
IAS અધિકારી બેડામાં "કાળા જાદુ"નો આતંક?
જાહેર સેવા આયોગના સભ્યો સમાજનો એક સુશિક્ષિત વર્ગ છે આથી તેઓ અંધશ્રદ્ધાના સકંજામાં ન આવે તેવું લોકો ઈચ્છે તે સ્વાભાવિક છે. જો કે સૂત્રો તરફથી મળતી માહિતી કંઈક જુદો જ ચિતાર આપે છે. 2 IAS અધિકારીઓ તેમની આસપાસના અધિકારીઓ ઉપર કાળો જાદુ ફેલાવે છે એવી અફવાઓ જોર પકડતા હોબાળો મચી ગયો છે. એક અધિકારીએ આ અંગે સૂત્રોને જણાવ્યું છે કે સચિવાલયમાં બંને અધિકારીઓની બાજુમાં કોઈ બેસવાનું પસંદ કરતું નથી. તેઓ એ પ્રકારના નકારાત્મક તરંગો ફેલાવે છે કે સાથેના અધિકારીઓ કાં તો બીમાર થઇ જાય છે અથવા તેમને અંગત જીવનમાં અથવા તેમની કારકિર્દીમાં નુકશાન જાય છે. આ કાળા જાદુથી બધા અધિકારીઓ ગભરાય છે તેવી ચર્ચા છે. જો કે સરકારે આ મુદ્દે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવા માટે આ પ્રકારની બેતૂકી વાતોથી દૂર રહેવા માટે અધિકારીઓને તાકીદ કરી છે એવા પણ સમાચાર છે. હવે આ કાળા જાદૂની વાતો અફવા છે સાચી તે તમને જાણવા મળે તો અમને પણ જણાવજો.
અનિલ મુકીમનો હુકમ: મને ઓનરેબલ (માનનીય) નહીં કહેવાનું!
સૂત્રોની માહિતી માનીએ તો ચીફ સેક્રેટરી અનિલ મુકીમે હમણાં તેમના અધિકારીઓ અને કર્મચારીઓને કડક સૂચના પાઠવી છે કે તેમના નામની આગળ ઓનરેબલ શબ્દ ન લગાવવો. આ શબ્દ ફક્ત રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય મંત્રીઓ માટે જ વપરાય છે તેવી મુકીમ સાહેબની દલીલ છે.
ગાંધીનગરમાં પોલીસ કમિશનર પદ લાવવાની DGP ઝાનું સૂચન IAS બેડાએ વખોડી નાખ્યું છે તેવા સમાચાર સૂત્રો તરફથી મળી રહ્યાં છે. એવું કહેવાય છે કે ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું ત્યાર બાદ ત્યાં શહેર જેવું કમિશનર પદનું પોલીસ તંત્ર શરુ કરવામાં આવે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. સમાચાર છે કે એક IAS અધિકારીએ દાવો કર્યો છે કે આ નિર્ણયથી ગાંધીનગરની કારોબારી કામગીરીમાં જરૂર વગરનો વધારો થઇ જશે જે સમયનો વેડફાટ છે. કહેવાય છે કે કેટલાક IPS અધિકારીઓ પણ આ સૂચનથી ખુશ નથી.
ગુજરાતની પ્રજામાં એક એવો પ્રશ્ન ઉઠ્યો છે કે જામનગર, ભાવનગર, જૂનાગઢ જેવા શહેરોમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન લાગુ થઇ ગયું છે. શું આ શહેરોમાં પણ વ્યવસ્થિતિ શહેર પોલીસની જરુર નથી? ગાંધીનગરમાં ગુજરાતના VIP અધિકારીઓ અને રાજનેતાઓ રહેતા હોવાથી એમની સવલતો સાચવવા માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હવે જોવાનું એ છે કે ગાંધીનગરમાં પોલીસ કમિશનર પદ લાગુ થશે કે નહીં? ત્યારે હવે આ વાત સાચી છે કે ખોટી તે આવનારો સમય જ કહેશે.