કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોના શબમાં થતાં મિસ-મેનેજમેન્ટને દૂર કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય.
કોરોનાકાળમાં સરકારનો વધુ એક મોટો નિર્ણય
તલાટીઓને સોંપવામાં આવી વધારાની જવાબદારી
ડેડબોડી મેનેજમેન્ટ માટે તલાટીઓને ઉતાર્યા મેદાનમાં
સરકારનો સૌથી મહત્વનો નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે સતત મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફની અછત સર્જાઇ રહી છે. રાજ્યના સીએમ રૂપાણીએ પણ સ્વીકાર્યું છે કે કોવિડ કેર સેન્ટર ઊભા કરવા માટે કરી દેવાય પરંતુ ત્યાં મેડિકલ સ્ટાફ આપવો અઘરો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કેસ વધી રહ્યા છે ત્યાં શિક્ષકો, મામલતદાર, પ્રોફેસરોને જુદી જવાબદારી સોંપવામાં આવી રહી છે ત્યાં હવે તલાટીઓને પણ મેદાનમાં ઉતારવામાં આવશે. કોરોના વાયરસના કારણે હાલમાં સ્મશાનોમાં હાલત ખરાબ છે ત્યાં તલાટીઓને હવે ડેડબોડીના મેનેજમેન્ટની જાવબદારી સોંપવામાં આવી છે.
શિક્ષકો, મામલતદાર, પ્રોફેસર બાદ હવે તલાટીઓ પણ કોરોનામાં ફરજ બજાવશે
અમદાવાદમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દર્દીઓના સગાઓને મૃતદેહ માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તો શબ લેવા માટે લાંબી લાઈનો લાગે છે અને કલાકોના વેઇટિંગ બાદ શબ મળે છે. આટલું જ નહીં મેનેજમેન્ટ ન હોવાના કારણે ઘણીવાર દર્દીઓના શબ પણ બદલાઈ જાય છે. એવામાં હવે આ બધી સમસ્યાઓને પહોંચી વળવા માટે તલાટીઓને આ કામ કરવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,553 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 125 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 4,802 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,50,865 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 125 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5740 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 361 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 84,126 પર પહોંચ્યો છે.
ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી
કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 495 નવા કેસ નોંધાયા હતા.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે તથા મૃત્યુ પણ દરરોજ વધી રહ્યા છે. ભારતમાં આજે કોરોના વાયરસના કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં એક જ દિવસમાં નવા 3,14,835 કેસ આવ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. એક જ દિવસમાં 2,104 લોકોના મોત થયા છે જ્યારે 1,78,841 લોકો સાજા થયા છે.