કોરોનાને કારણે દેશની તિજોરીને મોટો ફટકો પડ્યો છે. અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય કરતા કરાર આધારિત કર્મચારીઓના પગારમાં કાપ મુક્યો છે. તો સરકાર અને પંચાયતના કર્મચારીઓનું ભથ્થુ ન ચુકવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા ઝટકો
સરકારે કરાર આધારિત કર્મચારીના પગારમાં 30% કાપ મુક્યો
સરકાર અને પંચાયતના કર્મચારીઓનું ભથ્થુ ન ચુકવવાનો નિર્ણય
કોરોનાકાળમાં ભાંગી પડેલા અર્થતંત્ર વચ્ચે હવે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. એક તરફ ખાનગી કંપનીઓ પોતાના ખર્ચ ઘટાડી રહી છે અને કર્મચારીઓના પગાર પણ ઘટાડી રહી છે. તેવામાં હવે ગુજરાત સરકાર પણ એ રસ્તે જઇ રહી છે. સરકારે નિવૃત્તિ બાદ ટેક્નિકલ-નોન ટેક્નિકલ કરાર આધાર પર જોડાયેલા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો કાપ મુકવામાં આવ્યો છે.
તો રાજ્ય સરકારના કર્મચારીઓ અને પંચાયતના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી ચુકવવાપાત્ર થતુ મોંઘવારી ભથ્થુ 13 માર્ચ 2021 સુધી ન ચુકવવાનો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા ઝટકો આપતા હવે સરકારી કર્મચારીઓ આ મામલે વિરોધ કરે તેવી પૂરી સંભાવના છે.
મહત્વનું છે કે, આ અગાઉ રાજ્ય સરકારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં પણ 30 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લીધો છે. આ પગારકાપનો આદેશ એક વર્ષ સુધી અમલમાં રહેશે. જ્યારે ભાજપના દંડકના પગારમાં 10 ટકા અને વિપક્ષના દંડકના પગારમાં 10 ટકાનો કાપ મૂક્યો છે.