ગુજરાતના ગીર સોમનાથ બાણેજમાં મહંત ભરતદાસ બાપુનું નિધન થયુ છે. તે લાંબા સમયથી બિમાર હતા તેમને સારવાર માટે રાજકોટ લવાયા હતા જ્યાં આજે બપોરે તેમણે અનંતની વાટ પકડી હતી. મહંત ભરતદાસ બાપુ બાણેજના એક માત્ર મતદાતા હતા. તેમના માટે બાણેજ સ્પેશ્યલ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ હતુ.
બૂથના ભરતદાસ બાપુ એકમાત્ર હતાં મતદાર
એક મતદાર માટે ચૂંટણીપંચ દ્વારા ઉભી કરાતી હતી વ્યવસ્થા
દેશનું એકમાત્ર બુથ એવું હતું કે જ્યાં એક જ મતદાર હોય
મહંત ભરતદાસ બાપુને લાંબા સમયથી કિડની બિમારી હતી. છેલ્લા એક મહિનાથી રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરંતુ આજે બપોર તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો.
આવતી કાલે થશે અપાશે અગ્નિદાહ
ભરતદાસ બાપુએ આજે બપોરે 3 વાગે રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અગ્નિસંસ્કાર આવતીકાલે 2 નવેમ્બરના રોજ સવારે 11 વાગે જદમગ્ની આશ્રમ, જમજીર, જામવાળા ગીરમાં કરવામાં આવશે. ભરતદાસ બાપુના નિધનથી સંતો-મહંતો અને ભાવિકોમાં શોકની લાગણી વ્યક્ત કરી હતી.
એક માત્ર ભરતદાસ બાપૂ માટે ઉભુ કરાયુ હતુ મતદાન મથક
જૂનાગઢ મત વિસ્તારમાં આવતા બાણેજ ગામથી 20 કિમી દૂર સાસણગીરની અંદર ભગવાન શિવનું મંદિર છે. આ શિવ મંદિરના પૂજારી ભરતદાસ મહારાજ એક માત્ર મતદાર હતા. તેમ છતાં તેમને માટે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ હતુ.
બાપૂ અચુક કરતા હતા મતદાન
મતદાનના દિવસે બે પોલીસ અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર કર્મચારીઓનો કાફલો આવીનો પોલિંગ બૂથ શરૂ કરતા હતા. જેમાં એક માત્ર વ્યકિતનું મતદાન કરે તે સાથે જ મતદાન મથકમાં 100 ટકા મતદાન નોંધાઇ જતું હતું. મતદાન પૂરુ થયા પછી પણ નિયમ પ્રમાણે સાંજ સુધી મતદાન પૂર્ણનો સમય ના થયા ત્યાં સુધી કર્મચારીઓ બેસી રહેતા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર આ એક મતદાર માટે ચૂંટણી પંચે મતદાન મથક ખોલવાનું નક્કી કર્યું હતું.
2019માં પણ મતદાન કર્યુ હતુ
2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભરતદાસ બાપુએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અચૂક મતદાન કરતા હતા.