ભાજપનો ભગવો દેશમાં લહેરાવ્યો છે ત્યારે હવે રાજ્યસભામાં પણ ગુજરાતની બંને બેઠકો મેળવવા ભાજપ નવો રાજકીય દાવ ખેલશે. રાજ્યસભાની એક જ બેઠકની ચૂંટણી યોજવા હાલ ભાજપની ગણતરી છે. વળી ભાજપ પાસે સંખ્યાબળ પણ હોવાથી એક બેઠક હસ્તગત કરી લેશે.
જ્યારે બીજી બેઠક માટે બે મહિના બાદ ચૂંટણી કરાવીને ભાજપ બીજી બેઠક પણ કબજે કરવા માગે છે. તો બીજી તરફ રાજ્યસભામાં ગુજરાતના નેતાઓને રાજયસભામાં લઈ જવાની કવાયત પણ ચાલી રહી છે.
ગોરધન ઝડફિયા અને પાટીદાર આગેવાન સી.કે.પટેલનું નામ પણ આ મામલે ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહની બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજીનામુ આપતા રાજ્યસભાની બે બેઠકો પણ ખાલી પડી છે.