રાજ્યમાં બે વર્ષમાં 300થી વધુ દીપડાના તો 283 ગીરના સાવજ મોત ચિંતાનો વિષય
ગુજરાતના ગૌરવશાળી પ્રાણીઓના મોતનું કારણ શું?
બે વર્ષમાં 333 દીપડાના થયા મૃત્યુ
બે વર્ષમાં 283 સિંહના થયા મોત
ગીર અને ગીરનો રાજા એટલે કે, એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે. અને આ ગૌરવવંતા સિંહોને જોવા માટે વિશ્વભરમાંથી પર્યટકો ગીરમાં ફરવા માટે આવે છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી ગીરમાં સિંહને લઈને ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે. પર્યટકોને સિંહ દર્શન કરાવવા માટે ગેરકાયદેસર લાયન શો યોજવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઘણી ગીર સફારીમાં પણ સિંહની પજવણી મુદ્દે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સરકાર અને વન વિભાગ પણ થોડા ઘણા અંશે એશિયાઇ સિંહો, રમણિય જંગલ તેમજ વારસાને બચાવવા માટે પ્રત્યનશીલ છે. અને તેના જ લીધે સિંહોની સંખ્યા વધી છે પણ સામે હવે 2 વર્ષમાં રાજ્યમાં 283 સિંહ મોતના સમાચારનો સરકારી આંકડો આવતા ચિંતાનો વિષય પણ છે કે શું ગુજરાતની શાન સિંહ ધીમે ધીમે લુપ્ત થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
બે વર્ષમાં 283 સિંહના મૃત્યુ
ગુજરાતમાં સિંહના મૃત્યુ અંગે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા પ્રશ્ન કરાયો હતો જેના જવાબમાં સરકાર તરફથી જવાબ મળ્યો છે જે ચોંકાવનારો છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 283 સિંહના મૃત્યુ થયા છે. જેમાં 254 સિંહના કુદરતી મૃત્યુ તો અકસ્માતથી 29 સિંહ મોતને ભેટયા છે પણ સારી વાત એ છે કે 2 વર્ષમાં સિંહની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2021ની સ્થિતિ સિંહની સંખ્યા 674 પહોંચી ગઈ છે. ગીર અભ્યારણ્યમાં 345 સિંહ, ગીર બહારના અભ્યારણ્યમાં 329 સિંહ હોવાની માહિતી પણ સરકારે આપી છે જેમાં 206 નર, 309 માદા અને 29 સિંહ બાળ છે.
2 વર્ષમાં 333 દીપડાના મોત
સિંહ બાદ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓનો પણ વસવાટ જોવા મળે છે. ત્યારે લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્ન પર સરકારે આંકડાકીય જવાબ આપ્યો હતો. રાજ્યમાં બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયા છે. જેમાંથી 242 દીપડા અને 91 બાળ દીપડા મોત ભેટયા છે. કેવી રીતે આ થયું તેની માહિતી પર નજર કરીએ તો કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના જ્યારે અકુદરતી મૃત્યુમાં 67 દીપડા અને 23 બાળ દીપડાના મૃત્યુ થયા છે.
શા કારણો જવાબદાર..!
સિંહના મોત બાદ દીપડાના મોતનો આંકડો પણ સાવધ કરી રહ્યો છે કે જો આમ જ ગુજરાતના ગૌરવ સમાન પ્રાણીઓના મોત થતાં રહ્યા તો આગળની પેઢી કદાચ સિંહ અને દીપડા હતા તેમ કહેશે તે વાત કહેવામાં કોઈ અતિશકયોક્તિ નથી. પણ વધતી સંખ્યાને સામે 2 વર્ષમાં થયેલા મોતનો આંકડો અતિશય વધારે છે. જેના કારણો વન વિભાગે શોધવાની જરૂર છે. સિંહ હવે જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે, જે માટે જંગલનું ગેરકાયદે પતન પણ જવાબદાર છે અને જંગલ વિસ્તારમાં ચાલતી અન્ય ગેરપ્રવૃતિઓ અને ગ્રીન હાઉસ અસર પણ..
રાજુલા, અમરેલી, ભાવનગરમાં પણ સિંહોના અકુદરતી મોત થયા: પૂંજા વંશ, ધારાસભ્ય કોંગ્રેસ
સિંહોના નિધન અંગે કોંગ્રેસના MLA પુંજા વંશે નિવેદન આપતા કહ્યું કે કુદરતી અને અકુદરતી મૃત્યુની સંખ્યા આપી છે. પણ સિંહનું સંવર્ધન થાય, સિંહની સંખ્યામાં વધારો થાય તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. રાજુલા, અમરેલી, ભાવનગરમાં પણ સિંહોના અકુદરતી મોત થયા છે તો ભૂતકાળમાં રોગ થવાને કારણે પણ મોત થયેલા છે.આ પ્રાણીઓને બચાવવા વિશેષ પગલાં લેવાના હોય તો સરકાર પગલાં લે..