રાજ્યમાં પુરની સ્થિતિ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે વરસાદી આફત બાદ બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી આપી હતી.
ગુજરાતમાં રેસ્ક્યૂ માટે 5 જગ્યાએ હેલિકોપ્ટર તૈનાતઃ ત્રિવેદી
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ગઇકાલે રાત્રે 10 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર સેન્ટર આવ્યા હતા. જ્યાંથી તેમણે નવસારી કલેક્ટર સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વાત કરી હતી. કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપી અને માહિતીઓ મેળવી છે.
એક જ દિવસમાં આટલા મોટા પ્રમાણમાં રેસ્ક્યૂની પ્રથમ ઘટનાઃ ત્રિવેદી
પૂર્ણા નદીમાં પાણીના વહેણ વધી ગયા હતા. જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પુર આવ્યા હતા. જેને લઇને અનેક લોકો ફસાયા હતા. ત્યારે 24 કલાકમાં 811 લોકોનું રેસ્ક્યુ કર્યા છે. જે એક જ દિવસમાં આટલા મોટા પ્રમાણ રેસ્ક્યૂની પ્રથમ ઘટના છે. NDRF અને SDRFની ટીમની સરાહનીય કામગીરી છે. 7 જૂલાઇથી આજ સુધીમાં 1254 લોકોના રેસ્ક્યુ કર્યું છે. રાજ્ય સરકારે ટીમોને અભિનંદન પાઠવ્યા છે. નવસારીમાં એરફોર્સ અને ચોપર દ્વારા 9 લોકોને એરલિફ્ટ કરી બચાવાયા છે. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 57 જિંગાના મજૂરો છે. તો ડુંગરી ફળિયામાં 60થી વધુ છાપરા પર હતા. આ માહિતી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી છે.
25985માંથી હવે 14912 લોકો આશ્રય સ્થાનોમાંઃ ત્રિવેદી
સ્થળાંતર કરાયેલા લોકો અંગે ત્રિવેદીએ કહ્યું કે, 40897 લોકોને તેમના ઘરોમાંથી સ્થળાતર કરાયું હતું અને તેમને આશ્રય સ્થાને લઇ જવાયા હતા. જ્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ત્યારે હવે 25985 લોકોને પરત સ્વગૃહે જવા દેવાયા છે. તો 14912 લોકો હજુ આશ્રય સ્થાનોમાં છે, જેમની પૂર્ણ કાળજી લેવાઈ રહી છે.
99 ટકા ગામોમાં વીજળી શરૂ થઇ ગઈઃ ત્રિવેદી
વધુમાં ત્રિવેદીએ જણાવ્યું કે, વીજળી વિભાગ સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે. 5574 ગામા વીજળી બંધ થઈ હતી. જેમાંથી હવે 90 ટકા ગામમાં વીજળી શરૂ થઈ ગઈ છે. માત્ર એક ટકા એટલે કે 35 જેટલા ગામમાં વીજળી બંધ છે.
હાલ રાજ્યમાં 3 નેશનલ હાઈવે બંધઃ ત્રિવેદી
બંધ કરાયેલા રોડ અંગે ત્રિવેદીએ કહ્યું કે, 20 સ્ટેટ હાઇવે બંધ છે. જેમાંથી પંચાયત હસ્તકના 424 રોડ બંધ છે. તો કચ્છ, ડાંગ અને નવસારીમાં નેશનલ હાઇવે બંધ છે.
ગુજરાતમાં રેસ્ક્યૂ માટે 5 જગ્યાએ હેલિકોપ્ટર તૈનાતઃ ત્રિવેદી
હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની કામગીરી અંગે ત્રિવેદીએ જણાવ્યું કે, 5 જગ્યાએ હેલિકોપ્ટર રેસ્ક્યુ કામગીરી માટે તૈનાત કરાયા છે. જેમાં વડોદરા, નાસિક, મુંબઈ, દમણ, અમદાવાદથી હેલિકોપ્ટર સેવા શરૂ કરાઇ છે.
24 કલાકમાં 11 લોકોના મોત સાથે રાજ્યમાં મોતનો આંકડો 54 પર પહોંચ્યોઃ ત્રિવેદી
રાજ્યમાં વરસાદી આફતમાં થયેલા મોત અંગે ત્રિવેદીએ માહિતી આપતા કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 54 મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થયા છે. જેમાંથી 3 લોકો પુલ પરથી પડી જતા મોત થયા છે.
હવે રાજ્યમાં માત્ર વલસાડ અને ડાંગમાં જ રેડ અલર્ટઃ ત્રિવેદી
નદીઓના જળસ્તર અને રેડ અલર્ટ અંગે ત્રિવેદીએ કહ્યું કે, પૂર્ણા નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. તો અંબિકા નદીના જળસ્તરમાં પણ ઘટાડો થયો છે. હવે માત્ર 2 જિલ્લા જ રેડ અલર્ટમાં છે, જેમાં વલસાડ અને ડાંગમાં રેડ અલર્ટ છે.
SDRFની 26 અને NDRFની 19 ટીમો રાજ્યમાં તૈનાતઃ ત્રિવેદી
ત્રિવેદીએ કહ્યું કે, હાલ SDRFની 26 ટીમો તૈનાત છે. તો ઓરિસ્સાથી વધુ 5 NDRFની ટીમો સુરત પહોંચી છે. ગુજરાતમાં હાલમાં 19 NDRF ટીમો તૈનાત છે. કેન્દ્ર સરકાર તમામ મદદ પહોંચાડવા બાંહેધરી આપી છે.
નુકસાનની સર્વે શરૂ કરાયોઃ ત્રિવેદી
સહાય અંગે ત્રિવેદીએ જણાવ્યું કે, વરસાદ બંધ થયો છે ત્યાં નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે. સહાયની કામગીરી ઝડપી કરવામાં આવશે. વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચિંતા વ્યક્ત કરી હતી. નિયમ મુજબ જ સહાય આપવામાં આવશે.
રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય-કેશડોલ્સ ચૂકવાશેઃ મુખ્ય સચિવ પંકજકુમાર
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય તેમજ કેશડોલ્સ ચૂકવવામાં આવશે. નવસારી જિલ્લામાં રાહત અને સર્વેની કામગીરીમાં વધુ ઝડપ લાવવા રાજ્ય સરકાર દ્વારા વધારાના બે એડિશનલ કલેક્ટર અને પાંચ ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી છે તેમ મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું હતું.