ગુજરાતના મત્સ્ય ઉદ્યોગમંત્રી પરસોત્તમ સોલંકીની તબિયત લથડી હતી. તેમને અમદાવાદની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તેમના ખબરઅંતર પૂછવા માટે CM રૂપાણી અપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા.
મત્સ્ય ઉદ્યોગમંત્રી અને કોળી સમાજના નેતા પરસોત્તમ સોલંકી છેલ્લા ઘણા સમયથી બિમાર છે. ત્યારે તેમની તબિયત લથડતાં તેમને અમદાવાદની અપોલો હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમના ખબરઅંતર પૂછવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા.
મંત્રી પરષોત્તમ સોલંકીને ડાયાબિટીસની બિમારી હોવાથી તેમનું સુગર પ્રમાણ વધ-ઘટ થવાથી તેમની તબિયત અચાનક લથડી હતી, જેને લઇને તેમને અપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે થોડા મહિના અગાઉ પણ તેમની તબિયત લથડતા સિંગાપુર મેડિકલ ચેકઅપ માટે લઇ જવાયા હતા. ઝાયડસ અને અપોલોમાં પણ તેમની અગાઉ સારવાર થઇ ચૂકી છે.
મહત્વનું છે કે રૂપાણી સરકારની ખાતા ફાળવણી દરમિયાન મંત્રી પરસોત્તમ સોલંકી નારાજ થયા હતાં. તેમને ત્યારે મત્સ્ય ઉદ્યોગ ખાતુ સોંપવામાં આવ્યું હતું. સોલંકી પોતાની નારાજગી વ્યક્ત કરવા મુખ્યમંત્રીને પણ મળ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાંચ વખત જીત્યા બાદ પણ મત્સ્ય ઉદ્યોગ જેવું એક માત્ર ખાતુ સંભાળતા મને સંકોચ થાય છે.