કોરોના સામેની લડાઈમાં તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. સરકારી હોસ્પિટલોમાં સેનેટાઈઝર સપ્લાય કરતી કંપનીના સેનેટાઈઝરનું પરીક્ષણ કરાતા તે ફેલ થયું છે. અને આ વિશે ખુદ સેનેટાઈઝ બનાવતી કંપનીને ખબર જ નથી. અને આ ફેલ ગયેલા સેમ્પલવાળા સેનેટાઈઝર સરકારી હોસ્પિટલોમાં વપરાઈ રહ્યા છે.
સેનેટાઈઝર ઉત્પાદકોને ખબર જ નથી કે સેમ્પલ ફેલ થયા છે
14ને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા
વિશ્વભરમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તેનાથી બચવા માટે પહેલા હથિયાર તરીકે જો કંઈ વપરાતુ હોય તો તે સેનેટાઈઝર છે. પણ શું તમને ખબર છે કે, તમારૂં સેનાટાઈઝર ખરેખર પ્રમાણિત છે કે નહીં? શું તમે આંખો મીંચીને સેનાટાઈઝર પર વિશ્વાસ કરી રહ્યા છો? તો તમને જાણીને આંચકો લાગશે કે, સરકર દ્વારા ટેસ્ટ કરવામાં આવતા કેટલાક સેનેટાઈઝર ફેલ ગયા છે.
સેનેટાઈઝર ઉત્પાદકોને ખબર જ નથી કે સેમ્પલ ફેલ થયા છે
ગુજરાત સરકારનો ડ્રગ વિભાગ દાવા કરે છે કે તેની પાસે 1500 લોકોનો સ્ટાફ અને બેસ્ટ લેબ છે. જોકે, માર્ચ મહિનાથી શરુ કરીને અત્યારસુધી ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 350 સેનેટાઈઝર્સના સેમ્પલ લેવાયા છે. જેમાંથી હજુ સુધી માત્ર 14ને જ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે. નવાઈની વાત એ છે કે 14માંથી 14 સેમ્પલ તો રાજપીપળાની એક કંપનીના છે, અને એક અમદાવાદની કંપનીનું છે. એક તરફ સરકાર દાવો કરી રહી છે કે તેણે આ સેનેટાઈઝર્સના ઉત્પાદકો સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરાઈ છે. પરંતુ હકીકત એ છે કે સેનેટાઈઝરના ઉત્પાદકોને તો ખબર જ નથી કે તેમના સેમ્પલ ફેલ ગયા છે.
જે 14 સેમપ્લ ફેલ થયા છે તેમાં 13 નર્મદા જિલ્લાની નીરવ હેલ્થકેરના અલગ-અલગ બેંચના સેમ્પલ્સ છે. તેમને ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ પાસેથી લેવાયા હતા. આ જ કંપની દરેક સરકારી હોસ્પિટલોમાં સેનેટાઈઝર પહોંચાડે છે. કંપનીના એમડી અને પાર્ટનર જીગર અગ્રવાલના જણાવ્યા અનુસાર, તેમણે GMSCLને 1 લાખ બોટલ એટલે 50 હજાર લિટર સેનેટાઈઝર સપ્લાય કર્યું છે. જોકે, છ દિવસ પહેલા જ તેમને સેમ્પલ ફેલ થયા હોવાની જાણ થઈ છે. કંપનીએ તમામ સ્ટોક રિપ્લેસ કરી આપવાની પણ બાંહેધરી આપી છે.
14ને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા
ફુડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ની લેબ વડોદરાના કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં આવેલી છે. જેના કારણે અત્યારસુધી સેમ્પલ ચેક કરવાની કામગીરી ધીમી ચાલી રહી હતી. જોકે, હવે તેને ઝડપી બનાવાશે તેવું તંત્રનું કહેવું છે. અત્યારસુધી 362 સેમ્પલ લેવાયા છે, અને 14ને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે. જોકે, 362માંથી કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા છે તેની જાણ ખુદ કમિશનરને જ ન હોવાનું પણ જાણવા મળ્યું હતુ.
અમદાવાદની રાજ કોસ્મેટિક્સનું સેમ્પલ ફેલ
બીજું જે સેમ્પલ ફેલ થયું છે તે અમદાવાદની રાજ કોસ્મેટિક્સનું છે. તેને બનાવવામાં જે આલ્કોહોલ વાપરવામાં આવ્યો છે તે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો ના હોવાનું સામે આવ્યું છે. કંપનીના માલિક ઈમરાન મેમણના જણાવ્યા અનુસાર, તેમનું સેમ્પલ મુંબઈમાં તો પાસ થયું છે. જોકે, ગુજરાતમાં એક મહિના પહેલા ફેક્ટરી પરથી સેમ્પલ લેવાયું હતું. તે પરિક્ષણમાં નિષ્ફળ ગયું છે તેની કોઈ માહિતી પણ પોતાની પાસે ના હોવાનો કંપનીના માલિકે દાવો કર્યો હતો.