હાલ કોરોનાને કહેર ચાલી રહ્યો છે તેમાંય દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવાનું ચાલુ રહેશે. વધુ 10 દિવસ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા, ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય
નર્મદા કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવાનું ચાલુ રહેશે
15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવશે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે સિંચાઇ પાણી અંગે માહિતી આપી હતી. ઉનાળુ પાકમાં ખેડૂતોને લાભ મળે તે હેતુથી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. છે.
નીતિન પટેલે જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતો તરફથી રજૂઆતો બાદ 16 માર્ચથી 4 એપ્રિલ સુધી નર્મદા કેનાલમાં પાણી આપવાનો નિર્ણય કર્યો હતો. જેનો ખુબ મોટો લાભ ખેડૂતોને મળ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફરીથી ખેડૂતો દ્વારા સંબંધિત વિસ્તારના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ અને મારી સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતોની રજૂઆત બાદ જે પાણી બંધ થતુ હતું તેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યા છે.
આ પાણી ખેડૂતોના ઘાસચારો ઉગાડવા માટે અને જેના પાક વાવેતર થઇ ચૂક્યા છે તેના માટે જરૂરી છે. તેથી આ સિંચાઇના પાણીને બંધ કરવાનો સમયગાળો લંબાવીને 15 એપ્રિલ એટલે કે 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ પાણીનો અમદાવાદ સહિતના જિલ્લાઓને લાભ થશે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં આખા રાજ્યોના ખેડૂતોને ઘાસચારો અને અન્ય પાકો ઉગાડવા માટે આ પાણી ઉપયોગ બનશે. નર્મદા, ફતેહવાડી, ખારીકટ કેનાલમાં પાણી ચાલુ રખાશે.