માર્કેટયાર્ડમાં ટેકા કરતા ઑપન માર્કેટમાં 100 રૂપિયા વધુ ભાવ, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ
ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોમાં નિરસતા
ઓછી સંખ્યામાં ખેડૂતો વેચી રહ્યાં છે મગફળી
માર્કેટમાં ખેડૂતોને મળી રહ્યાં છે સારા ભાવ
સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા અંગે ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. કારણ કે માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા આવતા નથી. ખુબ જ ઓછી સંખ્યામાં ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી રહ્યાં છે.
રાજકોટ જિલ્લામાં કુલ 11 તાલુકામાં 13 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના 13 કેન્દ્ર પર 1650 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ 1650માંથી અંદાજિત 270 જેટલા ખેડૂતો મગફળી વેચાણ માટે આવ્યા હતા. જ્યારે જેતપુર કેન્દ્ર પર 100 ખેડૂતોને બોલાવ્યા હતા જેમાંથી 18 ખેડૂત આવ્યા હતા. તો જામનગર જિલ્લામાં 6 કેન્દ્રો પર પ્રથમ બે દિવસમાં 800 ખેડૂતોને બોલાવ્યા હતા. જોકે પ્રથમ બે દિવસમાં 800 ખેડૂતમાંથી માત્ર 104 ખેડૂતો આવ્યા હતા.જામનગર યાર્ડમાં 8, ધ્રોલમાં 19, જોડિયામાં 8, કાલાવડમાં 23, જામજોધપુરમાં 22 અને લાલપુરમાં 24 ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા.
કેમ ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે.
લાભ પાંચમના દિવસથી મગફળી ઓનલાઈન કરેલા રજીસ્ટ્રેસનના આધારેના ટેકાના ભાવે હાલ ખરીદી થઈ રહી છે પણ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં મોટા ભાગની જગ્યાએ એક દિવસમાં ખેડૂતોને મોકલવામાં આવતા મેસેજ અને મગફળીને લઈ વેચવા આવતા ખેડૂતોમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે કે ખેડૂતોને સરકારનો ટેકાનો ભાવ ઑછો પડ્યો છે. પુરવઠા નિગમે ટેકાનો ભાવ 1100 રૂપિયા નક્કી કર્યો છે જ્યારે ઓપન માર્કેટમાં મગફળની ભાવ 1150 થી 1200 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. માર્કેટયાર્ડમાં ટેકા કરતા 100 રૂપિયા વધુ ભાવ મળતા ખેડૂતો પોતાનો માલ સારા ભાવે ઑપન માર્કેટમાં વેચી રહ્યા છે. જો કે સારી વાત એ છે ખેડૂતોને પોતાના મહામુલા પાકની સારી એવી કિમત મળી રહી છે.