ગુજરાત ચુંટણીનો દમદાર માહોલ જામ્યો છે. ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે દસ્ક્રોઇ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ જમના પટેલ ફરી એક વખત ચુંટણી જંગમાં ઉતાર્યા છે. જેમણે આજે નામાંકન પત્ર ભરી વિજયનો હુંકાર કર્યો હતો. સાથે રાજ્યમાં ભાજપની 151થી ઓછી સીટ નહીં આવે તેવો દાવો કર્યો હતો.
ભાજપની 150થી વધુ સીટ આવશે : બાબુ જમના પટેલ
આજે દસ્ક્રોઇ ભાજપના ઉમેદવાર બાબુ જમના પટેલનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં તેમના સંખ્યાબંધ સમર્થકો જોડાયા હતા. આ દરમિયાન તેમણે VTV સાથેની વાતચિતમાં જણાવ્યું કે હું ધરતી સાથે જોડાયેલો માણસ છું. જેથી આ વિસ્તારના મતદારો મારા પર વિશ્વાસ મુકશે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભાજપ સરકારે દસ્ક્રોઈને ખુબ આપ્યું છે. આ પંથકમાં લગભગ કોઈ કામ બાકી નથી. ધારાસભ્ય બન્યા બાદ વિકાસ કામોની પ્રાથમિકતા અંગે વાત કરતા જણાવ્યું કે શાળા, પાણી અને શૌચાલયની સુવિધા જ્યાં બાકી છે. તેને પૂર્ણ કરવીએ અમારું પહેલુ કાર્ય રહેશે. વધુમાં રાજ્યમાં ભાજપની 150થી વધુ સીટ આવશે તેવું પણ બાબુ જમના પટેલએ દાવા સાથે કહ્યું હતું.
કોંગ્રેસને લઈ સી. આર.પાટીલે શું કહ્યું ?
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ આજે વિજાપુરના ઉમેદવાર રમણ પટેલના સમર્થનમાં રાખેલી સભામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું સૂત્ર છે કે, અમારું કામ બોલે છે. પાટીલે કહ્યું હતું કે, જ્યારે અમે એમના પેઈન્ટરને પૂછ્યું તો કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મારે લખવાનું હતું કે કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચાર બોલે છે. સી. આર.પાટીલે આમ આદમી પાર્ટી પર તંજ કસતા કહ્યું હતું કે, ચોમાસાના દેડકાની જેમ નવી પાર્ટી આવી છે. એ કહે છે કામ આપીશ નહિ તો 3000 પેન્શન આપીશ. પાટીલે પૂછ્યું હતું કે, યુવાનોને આળસુ બનાવવા માંગો છો ? અહીંનો યુવાન પત્થરમાંથી પાણી કાઢે એમ છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, મહાઠગની ગુજરાતમાંથી ડિપોઝિટ જપ્ત થઈ જશે પ્રોમિસ આપું છું.