ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જુઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકનું સંપૂર્ણ સમીકરણ કે જે ભાજપનો ગઢ અને સૌથી વધુ પાટીદાર મતદારો ધરાવતી બેઠક છે.
અમદાવાદની ઘાટલોડિયા બેઠકનું સંપૂર્ણ સમીકરણ
ભૂપેન્દ્ર પટેલે 1 લાખથી વધુ મતોથી મેળવી હતી લીડ
ઘાટલોડિયા બેઠકે ગુજરાતને આપ્યા છે બે મુખ્યમંત્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. જેમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. અમદાવાદની બેઠક પર 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે અમદાવાદની ઘાટલોડિયાની બેઠક કે જેને રાજ્યને બે પાટીદાર મુખ્યમંત્રી આપ્યા છે. કારણ કે અહીં સૌથી વધુ પાટીદાર મતદારો ધરાવતી બેઠક છે. આ બેઠક પરથી આનંદીબેન પટેલ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી હતી. જ્યારે 2017માં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ પણ અહીંથી 1.17 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ માટે અમદાવાદની આ બેઠક એક ચેલેન્જરૂપ બની શકે છે. કારણ કે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામો જાહેર કરી દીધા છે.
જાણો કોણ છે અમીબેન યાજ્ઞિક?
ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે તેમજ તેઓ હાઇકોર્ટમાં વકીલાત પણ કરે છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે-સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. પ્રાદેશિક કક્ષાએ તેઓએ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ ઘણા એક્ટિવ રહે છે.
ઘાટલોડિયાની બેઠક એટલે CM પદ માટેનો રસ્તો!
આ બેઠક વિશે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક પરથી જે કોઈ ઉમેદવાર જીતે છે તેની માટે મુખ્યમંત્રી બનવાના રસ્તા ખુલી જાય છે. વર્ષ 2012 અને 2017ના ઇલેક્શનની જો વાત કરીએ તો 2012માં અહીંથી આનંદીબેન પટેલ અને વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલ જીતીને મુખ્યમંત્રી બન્યા હતા. તદુપરાંત અહીં ભાજપ જેને પણ ટિકિટ આપે છે તે જીતે છે એ પણ સૌ કોઇએ જોયું છે.
આ બેઠક પરથી આનંદીબેન અને ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી લાખથી વધુ મતોથી લીડ
નવા સીમાંકન બાદ ભાજપના ગઢ સમાન અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી જીત મેળવવી ભાજપ માટે જાણે કે રમતની વાત છે. કારણ કે 2012 અને 2017માં ભાજપે ઉતારેલા બંને ઉમેદવારોએ અહીંથી 1 લાખથી વધુ મતોથી લીડ મેળવી હતી. તેમજ બંને ઉમેદવારો છેક મુખ્યમંત્રી પદ સુધી પણ પહોંચ્યા હતા. તમને જણાવી દઇએ કે, ઘાટલોડિયા બેઠક એ અમદાવાદ જિલ્લામાં આવેલી છે કે જે વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત અમદાવાદ શહેર-તાલુકાના કેટલાંક ગામડાઓનો પણ સમાવેશ થાય છે.
સેન્સ પ્રકિયામાં પણ ઘાટલોડિયાની બેઠક માટે માત્ર ભૂપેન્દ્ર પટેલ દાવેદાર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોને પોતાના મૂરતિયાઓને ઉતારવાની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે હવે AAP બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓ ઉતારવાનું શરૂ કરી દીધું છે. તમામ પક્ષો દ્વારા કઈ બેઠક પરથી કોને ટિકિટ આપવી તે અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યું છે. તેની માટે તાજેતરમાં જ ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે અમદાવાદની ઘાટલોડિયાની બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડશે એ તો સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. કારણ કે ચૂંટણી પહેલા ભાજપની સેન્સ પ્રક્રિયામાં અમદાવાદમાં ઘાટલોડિયાની બેઠક પરથી માત્ર ભૂપેન્દ્ર પટેલનું જ નામ સામે આવ્યું છે. જેમાં અન્ય કોઈએ આ બેઠક પરથી દાવેદારી નથી નોંધાવી. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ અમદાવાદના ઘાટલોડિયામાંથી જ ચૂંટણી લડશે. ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એકી સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું. તમામ નેતાઓએ સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામનો જ પ્રસ્તાવ મુક્યો હતો.
મારા માટે આ ચેલેન્જ છે કારણ કે મારે CM સામે લડવાનું છે: અમીબેન યાજ્ઞિક
તાજેતરમાં જ આ બેઠક પરથી કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકે પણ પોતાનું ઘાટલોડિયાની બેઠક પરથી નામ જાહેર કરતા VTV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું હાલ રાજ્યસભામાં સાંસદ છું. કોંગ્રેસ હાઇકમાન્ડે મારા પર ભરોસો મૂક્યો તે માટે આભારી છું. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તે હું નિભાવીશ. મારા માટે આ ચેલેન્જ છે કારણ કે મારે CM સામે લડવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તૈયાર ભાણે જ રાજ કર્યું છે. પરંતુ આ વખતે જનતા બદલાવ લાવશે. આ વખતે શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારી સહિતના મુદ્દે જ હું પ્રજા સુધી જઈશ. લોકલ ઈશ્યુ પર વધુ ફોકસ રહેશે.'