પાટીદાર આગેવાનો સાથે ખોડલધામ રાસ-ઉત્સવમાં પહોંચ્યા કેજરીવાલ, ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
વિધાનસભાની ચૂંટણી પહેલાં AAPનું પાટીદાર ફેક્ટર
અરવિંદ કેજરીવાલે ખોડલધામ રાસોત્સવની લીધી મુલાકાત
પાટીદાર આગેવાનો પણ અરવિંદ કેજરીવાલ સાથે પહોંચ્યા
રાજકોટમાં ખોડલધામ દાંડિયા રાસનું આયોજન
દાંડિયા રાસ કાર્યક્રમમાં પણ અરવિંદ કેજરીવાલ સામેલ થયા
આમ તો કહેવાય છે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં જાતિવાદ ઓછું છે પણ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક તો વૉટબેંકના રાજકારણને કારણે પોલિટિકલ પાર્ટીઓ જાતિ વિશેષ ખુશ કરવા માટે પ્રયાસમાં લાગી જતાં હોય છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનની અસર જોવા મળી હતી ત્યારે આ વખતે શું નવું થશે તે જોવું રહ્યું.
રાજ્યમાં પાટીદારોની માંગ હતી કે પાટીદાર મુખ્યમંત્રી રાજ્યને મળે, જે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલને સત્તા સોંપીને માંગ પૂરી કરી હતી. ચૂંટણી નજીક આવતા હવે પાટીદાર વૉટબેંકને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. થોડા સમય પહેલા જ્યારે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પણ પાટીદારોનો ગુજરાતમાં પાવર કેટલો છે તેને લઈને ખૂબ વાતો ચાલી હતી ત્યારે હાલમાં જ કોંગ્રેસના નેતાઓ ખોડલધામમાં યાત્રા લઈને પહોંચ્યા હતા અને હવે અરવિંદ કેજરીવાલે પણ ત્યાં જ હાજરી આપી છે.
આજરોજ રાજકોટ ખાતે શ્રી ખોડલધામ સમિતિ અને યુવી ક્લબ આયોજીત ગરબામાં દિલ્લીના મુખ્યમંત્રીશ્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજકશ્રી @ArvindKejriwal જી ઉપસ્થિત રહ્યાં. pic.twitter.com/qggBLa5lmr
રાસોત્સવમાં પહોંચ્યા કેજરીવાલ
દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન આમ આદમી પાર્ટીએ પાટીદાર ફેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જે અંતર્ગત અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ખોડલધામ રાસોત્સવની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પાટીદાર આગેવાનો પણ તેમની સાથે ખોડલધામ રાસોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલ સામેલ થયા હતા. પોતાની આ મુલાકાત દરમિયાન કેજરીવાલે બે જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી વિકલ્પ ન હતો, પણ આ વર્ષે આમ આદમી પાર્ટી વિકલ્પ છે અને હવે ગુજરાતમા પરિવર્તન થઈને રહેશે. ગુજરાતની જનતા આ લોકોને 27 વર્ષથી સહન કરી રહી હતી. હવે તેમનો અહંકાર તોડવાનો સમય આવી ગયો છે.
કાર્યક્રમમાં કેજરીવાલ પર એક શખ્સે બોટલ ફેંકી
રાજકોટનાં ખોડલધામ ગરબા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા. તેમની સાથે પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા, નીલ સિટી ક્લબનાં ડાંડીયા કાર્યક્રમમાં તેમણે ગરબામા પણ ભાગ લીધો. ખોડલધામ ગરબામા જ્યારે અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત થઈ રહ્યા હતા ત્યારે તેમના પર કોઈ શખ્સે પાણીની બોટલ ફેંકી, જોકે કેજરીવાલ પર બોટલ ફેંકનાર શખ્સ કોણ હતો, એ સામે આવ્યું નથી.
સૌરાષ્ટ્રમાં કુલ 54માંથી પાટીદારોની 23 સીટ, કોઈ પણ પાર્ટી માટે કેમ જરૂરી?
વર્ષ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહીં તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી નડી, એવામાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ વાળવા ખૂબ જરૂરી છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારોની 8, મધ્યમાં 10 જ્યારે દક્ષિણમાં 9 બેઠકો છે જ્યાં પ્રભાવ પડે છે, એવામાં સૌરાષ્ટ્ર જ એક એવી જગ્યા છે જ્યાં જો પાટીદારો એક થઈ જાય તો ગમે તેવા ખેરખાંને પાણીમાં બેસાડી શકે છે, સૌરાષ્ટ્રની 23 બેઠકો એવી છે જ્યાં પાટીદારોના આશીર્વાદથી જ ધારાસભ્ય બની શકાય છે.