ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે બીજા રાજ્યમાં જઈ શિક્ષણ લઈ શકે છે તેવા નિવેદન પર શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન મામલે કર્યો ખુલાસો
મારી વાતને ટુકડે ટુકડે રજૂ કરાઈઃ જીતુ વાઘાણી
ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છેઃ વાઘાણી
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત જીતુ વાઘાણી અને ભાજપ સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. આ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના નિવેદન મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતને ટૂંકડે ટુકડે રજૂ કરવામાં આવી છે. આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતના ગૌરવ માટે મારે કોઇના સર્ટિફિકેટની જરુર નથી. ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરે છે.
જોકે શિક્ષણ મંત્રીએ પોતાના શિક્ષણ અંગેના વિવાદિત નિવેદન મામલે સ્પષ્ટતા કર્યા બાદ પણ વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને આપ બન્ને પક્ષો દ્વારા સરકાર પર પ્રહાર કરાઇ રહ્યા છે.
સોશિયલ મીડિયામાં થઇ રહેલ કટાક્ષ વચ્ચે વાઘાણીએ જાહેર કાર્યક્રમો ટાળ્યા
શિક્ષણ અંગેના વિવાદિત નિવેદનને લઇને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરમાં આવવાનું ટાળ્યું છે. અમદાવાદમાં યોજાયેલ 2 જાહેર કાર્યક્રમમાં જીતુ વાઘાણી ગેરહાજર જોવા મળ્યા. સવારે સાયન્સ સિટીના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ગગનયાન કાર્યક્રમમાં ફિઝિકલના બદલે વર્ચ્યુઅલી જોડાયા હતા. સાંજે કેસીજીના કાર્યક્રમમા જીતુ વાઘાણી ગેરહાજર રહ્યા હતા. તો પ્રોટોકોલ મુજબ માહિતી ખાતું અને લાઇઝનીંગ ઓફિસર પહોંચ્યા હતા.
જીતુ વાઘાણીએ આપ્યું હતું વિવાદિત નિવેદન
ગઈકાલે બુધવારના રોજ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે.વધુમાં શિક્ષણમંત્રી બોલ્યા હતા કે જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.
ગુજરાતના શિક્ષણમંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપીઃ મનીષ સિસોદીયા
દિલ્લીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણમંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી છે. ભાજપ 27 વર્ષથી સારૂ શિક્ષણ નથી આપી શક્યું. લોકોને ગુજરાત છોડીને જવાની જરૂરિયાત નથી. ગુજરાતમાં AAP સરકાર બનાવશે. ગુજરાતમાં પણ દિલ્લીની માફક સારૂ શિક્ષણ આપવામાં આવશે.
મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને આપી હતી ઓપન ડિબેટની ચેલેન્જ
થોડા દિવસ અગાઉ દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.ગુજરાતના શિક્ષણમંત્રી જ્યારે ઈચ્છે તે સમયે આમને સામને ડિબેટ કરવા તૈયાર છે.
ડિબેટ ચેલેન્જનો જીતુ વાઘાણીએ આપ્યો હતો વળતો જવાબ
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ શિક્ષણ અંગે ડિબેટની ચેલેન્જ ગુજરાતના શિક્ષણ મંત્રીને કરી હતી, જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. પણ મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું કે ગુજરાતમાં સારૂ શિક્ષણ ન હોત તો ભાજપ વિજેતા ના બન્યુ હોત. હીરોગીરી કરવા ગુજરાતનું મેદાન નથી અને ગોતવું સહેલું નથી.