ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જળ આયોજન મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. તેઓએ પાણીની સમસ્યા અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે "ચોમાસા સુધી ચાલે તેટલું ગુજરાત રાજ્ય પાસે પાણી છે. વડોદરાનાં તળાવ નર્મદાનાં પાણીથી ભરાઇ જશે. ખેડૂતો તલાવડી બનાવશે તેને સરકાર પણ સહાય કરશે.
જિલ્લાની નગરપાલિકાઓમાં પણ તળાવો ઊંડા કરાશે તેમજ તેમણે જળ સંચય યોજના મુદ્દે પણ નીતિન પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે લોક ભાગીદારીથી સરકાર જળ સંચયનું કામ કરશે. જમીનનાં તળ નીચે જવાથી પાણીની સમસ્યા વધી છે. વડોદરામાં 1777 તળાવો ઉંડા કરાશે.
મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં બગાડ થતાં પાણીનો બચાવ થાય અને ભૂગર્ભ સ્તર ઊંચા આવે તે માટે રાજ્ય સરકારે પાણીનાં મહત્તમ સંગ્રહ માટે જળ અભિયાન હાથ ધર્યું છે. આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું હોવાથી તમામ નદી અને તળાવોની સફાઈ કરવાનો પ્લાન બનાવામાં આવ્યો છે જેથી વધુને વધુ પાણીનો સંગ્રહ કરી શકાય.
મહત્વનું છે કે ગુજરાતમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર દ્વારા ગુજરાતનાં 20 હજાર જેટલાં તળાવો ઊંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી મેંએ સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં રાજયનાં તમામ મંત્રીઓ સંસદ સભ્યો અને શહેરીજનો પણ જોડાશે.