10 હજાર જેટલા તબીબો પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા જનતાના હાલ બેહાલ થયા
ડૉક્ટર હડતાળથી આરોગ્ય સેવા "ઇમરજન્સી" પર
દર્દીઓનો શું વાંક ?
સરકાર ડૉક્ટરની માંગનું ઝડપથી 'ઓપરેશન' કરે
કોરોનાના કપરાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો હડતાળ પર ઉતરતા રાજ્યની આરોગ્ય સેવા ઇમરજન્સીમાં આવી ગઇ છે.રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ છે.તબીબો દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી,પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી.ત્યારે તબીબોની વધુ એક હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા હવે ઈમરજન્સીમાં આવી ગઈ છે.
સવારના સાત વાગ્યાના ઓપરેશનની રાહ જોઈ રહ્યા છીએ પણ..
ગારીયાધારથી પોતાના બહેનના ઓપરેશન માટે આવેલા રેખાબેન તબીબોની હડતાળને પગલે અટવાયા છે.તેમના બહેનના ઓપરેશનનો ગયા ગુરુવારે વારો હતો પણ તબીબ આવ્યા નહી.હવે ફરી એક વખત ઓપરેશનનો વારો આવ્ચો છે ત્યારે તેઓ સવારે સાત વાગ્યાથી તબીબની રાહ જોઈ રહ્યા છે.બહેનની કમર ખસી ગઇ છે.પરંતુ ઓપરેશન હજુ થયુ નથી.સરસપુરથી પોતાના ભાઈના પગનું ઓપરેશન કરવા આવેલા હર્ષદભાઈએ પણ રોષ ઠાલવતા કહ્યું કે અમે સાત વાગ્યાના ઓપરેશનની રાહ જોઈ રહ્યા છીએ પણ ઓપરેશન થયું નથી.ઉપર બોલાવીને રાખ્યા છે પણ ક્યારે નંબર આવશે તે ખબર નથી.આવી જ કંઇક સ્થિતિ મધ્યપ્રદેશથી સારવાર માટે આવેલા દીપકભાઈ અને નરોડાથી પતિના ઓપરેશન માટે આવેલા કૈલાશબેનની છે.આવા અનેક દર્દીઓ તથા તેમના પરિવારજનો પોતાની શરીરની પીડાની સાથે સરકારી સિસ્ટમની પીડામાંથી પસાર થઇ રહ્યા છે.
દર્દીઓ તબીબોની રાહમાં પીડા ભોગવી રહ્યા છે
માણસ જ્યારે શારીરિક રીતે અશક્ત થાય, શરીરે પીડા થાય, અકસ્માત થાય ત્યારે તબીબ પાસે હોસ્પિટલ દોડતો હોય છે.અને ત્યાં હાજર તબીબને જોઇને એટલી પીડામાં પણ તે પીડિતને એક અલગ જ વિશ્વાસ હોય છે કે હાઇશ.હવે દવાખાને આવી ગયો છું.તો મારી પીડાનું નિદાન થઇ જશે.પરંતુ અઠવાડિયાની શરૂઆતના પ્રથમ દિવસે રાજ્યભરમાં 10 હજાર જેટલા તબીબો પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના દર્દીઓ રામ ભરોસે થઇ ગયા છે.રાજ્યના ખૂણેખૂણેથી આવેલા દર્દીઓની સાથે રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં પોતાની સારવાર માટે આવેલા દર્દીઓ તબીબોની રાહમાં પીડા ભોગવી રહ્યા છે તો બીજી તરફ તબીબ અને સરકાર પોત પોતાના અક્કડ વલણ પર અડગ ઉભા છે.
વાજબી માગણીઓ હોવા છતાં નિરાકરણ નથી આવ્યું: ડૉ.રજનીશ પટેલ, પ્રમુખ,GMTA
કોરોનામાં દિવસ-રાત એક કરીને પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર જનતાની સેવા કરનાર તબીબોને એવું તો શું થયું કે તેઓ અચાનક જ બદલાય ગયા અને દર્દીઓને રામ ભરોસે મુકી દીધા.VTV સાથે વાત કરતા GMTAના પ્રમુખ ડૉ.રજનીશ પટેલે જણાવ્યુ કે અમારી વાજબી માગણીઓ હોવા છતાં હલ થઇ નથી.આ હડતાળમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના તબીબો જોડાયા છે.
3 હજાર ઓપરેશન લટક્યા
અંદાજે 10 હજાર તબીબો કામકાજથી દૂર રહેતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની મેડિકલ સેવાઓ પર ગંભીર અસર પહોંચી છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 150 અને રાજ્યભરમાં 3 હજાર ઓપરેશન અટવાયા હોવાની માહિતી મળી રહી છે.આમ દર્દીઓને પડતી હાલાકી અને તબીબોની હડતાળ વચ્ચે ફરીથી એક વખત રાજ્યની આરોગ્ય સેવા કોન્ટ્રાક્ટ તબીબોના ભરોસે ચાલી રહી છે
રાજકોટના ડોકટરોનો સૂર કહ્યું માંગણી સંતોષવામાં આવે નહીંતર હડતાળ ચાલુ રહેશે
આજરોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા વિડીયો મેડિકલ કોલેજના પટાંગણમાં સિનિયર ડોકટરો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ પોતાની જૂની માંગણીઓ દર્શાવતા પોસ્ટરો દર્શાવી વિરોધ પણ પ્રગટ કરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં સિનિયર તબીબોએ જણાવ્યું હતું કે, વર્ષ 2012થી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. વર્ષ 2016 થી પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉન્સ પણ અમને આપવામાં નથી આવ્યું. ત્યારે સરકાર દ્વારા અમારી પડતર માંગણી સંતોષવામાં આવે નહીંતર આગામી દિવસોમાં પણ અમારી હડતાળ યથાવત્ રહેશે. બીજી તરફ ડોકટરોની હડતાળના કારણે દર્દીઓની સ્થિતિ કફોડી થઈ હતી
દર્દીઓ વિલા મોઢે પરત ફર્યા
આણંદના તારાપુર સરકારી હોસ્પિટલના ડોક્ટરો હડતાળ પર ઉતરતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. તારાપુર તાલુકાના દૂરના ગામડાઓમાંથી ઓ પી ડી માટે આવતા દર્દીઓને વિલા મોઢે પરત ફરવું પડયું છે. હોસ્પિટલમાં આજના દિવસે કરવાના ઓપરેશનો હડતાલને લઈ મોકૂફ રખાતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. એમાંય તારાપુર તાલુકા મથકે એક જ સરકારી દવાખાનું હોવાથી ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.
વડોદરામાં આજની 150 સર્જરી ઠપ્પ
વડોદરા ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના સંગઠનો આજથી હડતાળ પર ઉતરી ગયા છે. અચોકસ્સ મુદતની હડતાળનું એલાન અપાયું છે ત્યારે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ હવે રામભરોસે મુકાયા છે. શહેરની બંન્ને સરકારી હોસ્પિટલોમાં 150 સર્જરી ઠપ્પ થઈ છે. જો કે ઈમરજન્સી સારવારને અસર ન થાય તે માટે તંત્રએ આયોજન કર્યું છે.સુરત નવી સિવિલમાં પણ તબીબોની હડતાળની અસર વર્તાઈ છે. ખાસ કરીને દર્દીઓ સિવાય અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરીને પણ અસર થઈ રહી છે.
તબીબોની માગ શું છે?
ગ્રેડ પેમાં સુધારો
ક્ષેત્રીય ફેરણી ભથ્થાની માગણી
કોરોના વોરિયર્સ તરીકે ગણતરી કરી ભથ્થા
જૂની પેન્શન યોજના લાગુ કરવી
હોસ્પિટલ બહાર જનતા બિચારી બાપડી બની..!
સરકાર અને સરકારે વખાણેલા કોરોના વોરિયર્સ વચ્ચે ચાર-ચાર રાઉન્ડની બેઠકો બાદ પણ કોઇ સમાધાન થયુ નથી.સરકાર વાયદા પર વાયદા કર્યા કરે છે તો બીજી તરફ તબીબો હડતાળ પર હડતાળ પાડ્યા કરે છે. અને આ વિકસિત ગુજરાતની જનતા પોતાની પીડા સરકાર સમક્ષ રજૂ કરવી કે તબીબો સમક્ષ રજૂ કરવી તેને લઇને એક ગંભીર મનોમંથનમાં છે.આમ પોત-પોતાની માગો પર અડગ સરકાર અને તબીબોએ આ રાજ્યની જનતાની માગો પર થોડો સમય કાઢીને વિચાર કરવાની ચોક્કસથી જરૂર છે !