કોરોના બાદ હવે દેશમાં ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસ લોકો માટે નવું જોખમ ઊભું કરી રહ્યું છે. ગુજરાત સહિત કેન્દ્રમાં પણ હવે સરકાર એલર્ટ થઈ હોય તેવું લાગી રહ્યું છે.
સુરતમાં ડીંડોલીની 31 વર્ષીય પરિણીતાનું મોત
પરિણીતાને H3N2 જેવા જ લક્ષણો હતા
ભાવનગરમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા
1 મહિલા અને 2 યુવક કોરોના પોઝિટિવ
દેશમાં કોરોના બાદ હવે ઈન્ફ્લુએન્ઝા H3N2 લોકો માટે જીવલેણ બનતો દેખાઈ રહ્યો છે ત્યારે ભારતમાં આ વાયરસથી 2 લોકોનું મોત થયું છે. ત્યારે ગુજરાતમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક મહિલાનું મોત સંભવત: H3N2નાં લીધે થયું હોઈ શકે છે. રાજ્યમાં કોરોના અને ઈન્ફ્લુએન્ઝા જેવા કેસો વધવાને લીધે તંત્ર હવે એલર્ટ મોડમાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપતા કહ્યું કે, સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો અને ગંભીર શ્વસન રોગોનું વલણ વધી રહ્યું છે.
સુરતમાં 31 વર્ષીય પરિણીતાનું મોત
સુરતમાં આ પરિણીતા શરદી, ખાંસી અને કફથી પીડાઈ રહી હતી. ડીંડોલીની આ 31 વર્ષીય પરિણીતાનું મૃત્યુ થયું છે ત્યારે મળેલ માહિતી અનુસાર પરિણીતાને H3N2 જેવા જ લક્ષણો હતા. પરંતુ હજુ સુધી મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી તેથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર માહિતી મળી શકશે.
ભાવનગરમાં કોરોનાના 3 નવા કેસ
ભાવનગરમાં પણ કોરોનાનાં વધુ 3 નવા કેસો નોંધાયા છે. ભાવનગરમાં 1 મહિલા અને 2 યુવક કોરોના પોઝિટિવ આવતાં તંત્ર એલર્ટ થયું છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. જે ચિંતાજનક બાબત છે.
નીતિ આયોગે H3N2ને લઈને એક બેઠક યોજી
દેશમાં સતત વધી રહેલા H3N2 વાયરસે કેન્દ્ર સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન નીતિ આયોગે H3N2ને લઈને એક બેઠક પણ યોજી હતી અને હવે કેન્દ્ર સરકાર તરફથી પત્ર લખીને રાજ્યોને સૂચના આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કોને H3N2 થી વધુ જોખમ છે? કેવા લોકોની H3N2થી સ્થિતિ ગંભીર બની શકે? H3N2ના લક્ષણો દર્શાવ્યા પછી કોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે? આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે, સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો અને ગંભીર શ્વસન રોગોનું વલણ વધી રહ્યું છે. આપણે આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, તમામ લેબમાં કરવામાં આવતા નમૂનાઓના વિશ્લેષણમાં ઈન્ફલ્યુએન્ઝા A (H3N2) ની વધુ માત્રાની તપાસ ખાસ ચિંતાનો વિષય છે.
રાજ્યોને શું સૂચના અપાઈ ?
આ સાથે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એમ પણ કહ્યું કે, વૃદ્ધો, નાના બાળકો અને બહુવિધ રોગોથી પીડિત લોકો ખાસ કરીને જોખમમાં છે. આ લોકો HIN1, H3N2, Adenovirus વગેરે પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. રાજ્યોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કોરોના વાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોવિડ ટેસ્ટમાં જોવા મળતા સકારાત્મકતા દરમાં ધીમે ધીમે વધારો ચિંતાજનક બાબત છે. આ અંગે સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
આ વ્યૂહરચના પર કામ કરો
એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રસીકરણ કવરેજ મોટા પાયે હોવા છતાં હજી પણ સાવચેત રહેવાની અને 4Tની વ્યૂહરચના એટલે કે ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ પર ધ્યાન આપવાની અને કોવિડ -19 ની માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂર છે.
કોણ વધારે જોખમમાં ?
સચિવ રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધો, સ્થૂળતાથી પીડિત અને એક કરતાં વધુ રોગોથી પીડાતા લોકો અને સગર્ભા સ્ત્રીઓએ H3N2 અને એડેનોવાયરસ વગેરેથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. જો સમસ્યા વધી જાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.