ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર સામે દર્દીઓનો સારો ઇલાજ કરવો એક મોટો પડકાર બની ગયો છે. રાજ્યના સુરત શહેરમાં એક બિઝનેસમેને કોરોના દર્દીઓ માટે એક નવી પહેલ શરૂ કરી છે. શહેરના રિયલ એસ્ટેટના બિઝનેસમેન કાદર શેખને કોરોના દર્દીઓ માટે મફત હોસ્પિટલ બનાવી છે.
ઇંડિયન એક્સપ્રેસના જણાવ્યાં મુજબ કાદર શેખ કોરોના પોઝિટિવ જોવા મળ્યાં હતા, ત્યારબાદ કાદર શેખનો ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરવામાં આવ્યો હતો. કાદર શેખને ઇલાજમાં ઘણા રૂપિયા થયા હતા.
ત્યાર બાદ તેમના મનમાં એવા લોકોનો વિચાર આવ્યો જે આટલા રૂપિયા ખર્ચીને ઇલાજ ન કરી શકતા હોય. સારવાર બાદ હોસ્પિટલમાંથી બહાર આવ્યાં બાદ તરત શેખે પોતાની 30 હજાર સ્કેવર ફીટની ઓફિસને કોવિડ હોસ્પિટલમાં ફેરવાનું શરૂ કરી દીધું.
સુરત નગરપાલિકાએ લીલી ઝંડી આપી
કાદર શેખે પોતાની ઓફિસમાં 85 બેડવાળી કોવિડ હોસ્પિટલ બનાવી તૈયારી કરી દીધી. જેમાં ઓક્સિજનની સુવિધા પણ રાખવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે કોરોના દર્દીઓનો ઇલાજ અહી મફત કરવામાં આવશે.
કાદર શેખે મેડિકલ સ્ટાફ, ICU અને અન્ય સુવિધાઓ તૈયાર કરવા માટે સૂરત નગરપાલિકા સાથે કરાર કર્યો છે. ઇંડિયન એક્સપ્રેસના જણાવ્યાં મુજબ સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બીએન પાની અને ડેપ્યુટી હેલ્થ કમિશ્નર ડૉકટર આશિષ નાઇકે આ હોસ્પિટલની મુલાકાત લીધી અને તેને લીલી ઝંડી આપી દીધી છે.