ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે ગંભીર પરિસ્થિતિ અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહી છે. ત્યારે હાલ સુરતમાં આંકડા જે રીતે વધી રહ્યાં છે તે જોતા અમદાવાદને પણ પાછળ રાખી દેશે તેવી લાગી રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા 8 દિવસમાં 1,000થી વધારે કેસો સામે આવ્યાં છે. જો કે અનુમાન મુજબ હીરા ઉદ્યોગને કારણે કેસમાં ધરખમ વધારો થયો હોય તેવુ લાગી રહ્યું છે.
સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો
છેલ્લા 8 દિવસમાં 1 હજાર કેસ આવ્યા સામે
કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતામાં મુકાયું
હીરા ઉદ્યોગને કારણે કેસમાં ધરખમ વધારો
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સુરતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા આઠ દિવસમાં એક હજાર પોઝિટિવ કેસ આવતા સુરતીઓની ચિંતા વધી છે.
કોરોનાના વધતા જતાં કેસના કારણે હીરા ઉદ્યોગ 8 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સૌથી વધુ કેસ રત્નાકલાકારમાંથી આવતા હોવાથી હીરા ઉદ્યોગ બંધ કરાયો છે.
સુરત શહેરમાં બુધવાર સુધીમાં સંક્રમિતોનો આંકડો 5300ને પાર જોવા મળ્યો છે. બુધવાર બપોર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 101 કેસ સામે આવ્યાં હતા. ત્યારે હવે સવાલ એ થઇ રહ્યાં છે કે શું સુરત શહેર બની રહ્યું છે ડેથસ્પોટ?, સુરત શહેરમાં કેમ વધી રહ્યાં કોરોનાના કેસ?
સુરત શહેરમાં કોરોનાના વધતા કેસને લઇને ગઇકાલે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત શહેરની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યાં તેઓએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. આરોગ્ય સચિવે કહ્યું હતું કે સુરતમાં વધતા કેસને લઇને તંત્ર પણ ચિંતામાં છે.