આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક યોજાઇ હતી. લૉકડાઉન બાદ પ્રથમવાર સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક મળી હતી. કોરોના વાયરસની સ્થિતિ, નિસર્ગ વાવાઝોડાની સંભવિત સ્થિતિ અને તીડના આક્રમણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે આ બેઠક બાદ કોરોના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું.
આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક યોજાઈ
નીતિન પટેલે કોરોના અને નિસર્ગ વાવાઝોડાને લઇને આપ્યું નિવેદન
કોરોનાનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથીઃ DyCM
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણને લઇને DyCM નીતિન પટેલે નિવેદન આપ્યું હતું. આ અંગે DyCMએ કહ્યું કે, કોરોના હજુ ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જશે પણ નહીં, તેનો અંત નજીકના ભવિષ્યમાં દેખાતો નથી. તેથી બધી ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, કોરોના મામલે સલાહ લેવા માટે સરકારે ડૉક્ટરોની કમિટી બનાવી છે. ટેસ્ટીંગ અને સારવાર બાબતે સરકાર સલાહ લેશે. કમિટીની સલાહ મુજબ આરોગ્ય વિભાગ નીતિ ઘડશે.
DyCM નીતિન પટેલે નિસર્ગ વાવાઝોડાને લઇને પણ નિવેદન આપ્યું હતું. 'નિસર્ગ' વાવાઝોડુ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત, ડાંગ, ભરૂચ, નવસારીમાં અસર થવાની છે. વહીવટીતંત્ર હાઈઅલર્ટ પર છે અને NDRFની ટીમો પણ તૈનાત કરાઈ છે.