ગુજરાતમાં કોરોનાને કારણે એક જ દિવસમાં ગુજરાત સરકારના 3 અધિકારીના કોરોનાથી મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો રાજ્ય સરકારના ઊર્જા મંત્રી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું
એક જ દિવસમાં રાજ્યના 3 ઉચ્ચ અધિકારીઓના કોરોનાથી મોત
રૂપાણી સરકારના મંત્રી સૌરભ પટેલ પણ થયાં કોરોના સંક્રમિત
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના સામન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારી કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન થયું છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુક તથા ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વર્ગ-2ના અધિકારી શ્વેતાબહેન મહેતાનું નિધન કોરોનાને કારણે થયું છે.
મંત્રી સૌરભ પટેલનો કોરોના પોઝિટિવ
ગાંધીનગરમાં કોરોનાનો પગ પેસારો વધ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના 10 જેટલા ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે તો વિધાનસભાના 10થી વધુ કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. આજે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી છે.
ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ
ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. મેનેજર સહિત 14 કર્મચારીને કોરોના પોઝિટિવ નોંધાયા છે. સરકારી કચેરીઓમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે ગાંધીનગરમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ વાયબ્રન્ટ સમિટ યોજાશે. ઓક્ટોબર મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાઇ શકે છે. PM મોદીએ 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટ શરૂ કરી હતી. દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા વાયબ્રન્ટ સમિટ યોજાય છે.
ગત 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયા 2,220 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2,220 કેસ નોંધાયા છે અને 1,988 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,88,565 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 10 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4510 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.
છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 તો આજે 2,220 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લેવાયો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, વિધાનસભા સંકુલની તમામ ઓફિસોમાં ગૃહનું જીવંત પ્રસારણ બંધ રાખવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા વિધાનસભા અધ્યક્ષે આ નિર્ણય લીધો છે. ગૃહની કામગીરી જોવા કર્મચારીઓ ટીવી નજીક ટોળે વળતા હતાં. આથી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ વધવાના જોખમને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.