ભારતભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના વાયરસના કેસ વધારે જોવા મળી રહ્યાં છે. જો કે ગુજરાત રાજ્યની વાત કરીએ તો દૈનિક કેસની સરેરાશમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે.
દૈનિક કેસની સરેરાશમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
ગુજરાતમાં રોજના કોરોના પોઝિટિવ કેસની સરેરાશ 5.85
દૈનિક કેસની સરેરાશમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ બાદ ગુજરાત ત્રીજા ક્રમે
રાજ્યમાં જે રીતે કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે સાચે જ ચિંતાજનક પરિસ્થિતિ છે. હાલ ગુજરાત રાજ્ય દેશમાં કોરોના વાયરસને લઇને દૈનિક કેસની સરેરાશમાં ત્રીજા ક્રમે છે.
ભારતમાં કોરોના વાયરસમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્રા રાજ્ય છે. મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને સૌથી વધારે કેસો સામે આવી રહ્યાં છે, આ સાથે દૈનિક સરેરાશમાં પણ ત્યાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા નંબરે આંધ્ર પ્રદેશ છે. જેમાં મહારાષ્ટ્ર બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યાં છે.
કોરોના વાયરસને લઇને ગુજરાત રાજ્યમાં પોઝિટિવ કેસની સરેરાશ 5.85 જોવા મળી રહી છે. રાજ્યમાં પ્રથમ કેસ 19 માર્ચે નોંધાયો હતો. આ સાથે માત્ર 14 દિવસમાં જ કોરોનાના 87 પોઝિટિવ કેસો નોંધાયાં છે. કેન્દ્ર સરકારે અમદાવાદને કોરોનાનું હોટસ્પોટ શહેર જાહેર કર્યું છે.
કોરોના વાયરસને લઇને ગઇકાલે જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આજે 95 નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 75 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 1726 લોકોના ટેસ્ટ કરાયા છે, જેમાંથી 1628 નેગેટિવ આવ્યાં છે. જ્યારે 11 કેસ પેન્ડિંગ છે.
પોરબંદરમાં 2, સુરતમાં 2 અને પંચમહાલમાં 1 આમ આજે નવા 5 કેસ નોંધાયા છે. જેને લઇને કુલ પોઝિટીવ કેસની સંખ્યા 87 પર પહોંચી છે. જોકે 71 દર્દીઓની તબિયત હાલ સ્થિર છે. અમદાવાદના એક 57 વર્ષીય મહિલાને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે રાજકોટના પ્રથમ કેસ પોઝિટીવ નોંધાયો હતો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
અત્યાર સુધીમાં અમદાવાદમાં 31, સુરતમાં 12, રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 11, ભાવનગરમાં 6, કચ્છમાં 1, મહેસાણામાં 1, ગીરસોમનાથમાં 2, પોરબંદરમાં 3 અને પંચમહાલમાં 1 આમ રાજ્યમાં કુલ 87 કેસ નોંધાયા છે.