ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 55 લોકોના મોતની સાથે નવા 6021 કેસ નોંધાયા, 2854 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
24 કલાકમાં સૌથી વધુ 6021 કેસ નવા નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં 55 લોકોના કોરોનાથી મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 6021 કેસ નોંધાયા છે અને 2854 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,17981 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોતથી ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 216 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 30,680 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1907 કેસ જ્યારે સુરત શહેરમાં 1174 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 295 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 261 કેસ, જ્યારે ગ્રામ્યમાં 120 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 503 કેસ અને ગ્રામ્યમાં 73 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ દર્દીઓનો જમાવડો થયો છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગી ગઈ છે. એક એક એમ્બ્યુલન્સ 2થી 3 કલાક સુધી લાંબી લાઈનમાં છે. દર્દીઓએ સારવાર માટે 3 કલાક જેટલી રાહ જોવી પડી હતી. પરિવારજનો અને દર્દીઓ હોસ્પિટલની બહાર જ અટવાયા હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાના તાપ વચ્ચે લોકો પાણીની પણ માગણી કરી રહ્યા છે.
અમદાવાદમાં કોરોના દર્દીઓથી સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. સિવિલ મેડિસિટીના 95 ટકા બેડ પર દર્દીઓ છે. મેડિસિટીમાં 2068 કોરોના બેડમાંથી 1965 બેડ પર દર્દી સારવાર લઈ રહ્યા છે. રાત્રે આવતા દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાય રહી છે. અને લાંબી લાઈન લાગી ગઈ છે.