કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે કચ્છમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજયાનું બહાર આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
કોરોનાથી રાજ્યમાં વધુ એક મોત
આજે કોરોનાના વધુ 381 કેસ ઉમેરાયા
કચ્છમાં કોરોનાગ્રસ્ત દર્દીએ દમ તોડતા હડકંપ
કોરોના કેસમાં વધતી જતી ચિંતાજનક રફતાર આજે પણ યથાવત રહેવા પામી હતી અને આજે કોરોનાના વધુ 381 નવા કેસ સામે આવ્યા છે જેને રોકવા આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું છે. આજે અમદાવાદમાં જ 120 પોઝિટિવ સામે આવ્યા છે. વધુમાં કોરોનાના વધતા જતા હાઉ વચ્ચે કચ્છમાં કોરોનાગ્રસ્ત એક દર્દીએ દમ તોડતા લોકોમાં પણ ભયનું લખલખુ જોવા મળી રહ્યું છે. હાલ રાજ્યમા એક્ટિવ કેસ 2247 પર સ્થિર થઈ છે.
અમદાવાદ શહેરમાં આજે 120 દર્દીઓને કોરોના વળગ્યો
શહેર જિલ્લા મુજબ કોરોનાના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આજે 120 દર્દીઓને કોરોના વળગ્યો હોવાનું સામે આવ્યું છે જ્યારે 141 દર દિવસે સાજાનરવા થતાં તેને રજા આપી દેવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદ પંથકમાં ત્રણ કેસ સામે આવ્યા છે. વધુમાં મોરબીમાં પણ એક સામટા 35 કેસ નોંધાતા ચિંતા જન્મી છે. તે જ રીતે સુરત કોર્પોરેશનમાં 32 કેસ અને વડોદરામાં 20 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં પણ 18 કેસ નોંધાયા છે. તેમજ રાજકોટ જિલાલામાં 23 કેસ, શહેરની હદ વિસ્તારમાં 14 અને મહેસાણામાં પણ 25 કેસ સામે આવ્યા છે. અમરેલી 7 આણંદ 09 અરવલ્લી 01, બનાસકાંઠા 03, ભાવનગર 3, ભરૂચ 08, બોટાદ 02, છોટાઉદેપુર -દાહોદ 1-1 કેસ અને ગાંધીનગર -9 તથા જામનગર 02 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 2247 એક્ટિવ કેસ
કચ્છમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીનું કોરોનાને પગલે મોત થયું હોવાનું જાહેર થતાં હડકંપ મચી જવા પામ્યો છે. બીજી તરફ સત્તાવાર રીતે જાહેર થયેલ વિગત મુજબ નવા 381 કેસ સામે ૨૬૯ લોકો સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે આ ઉપરાંત 555 લોકોનું રસીકરણ કરાઈ હોવાનું જાહેર થયું છે અને હાલ રાજ્યમાં 2247 એક્ટિવ કેસ છે.