ચારેક મહિનાની રાહત બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ધીમે-ધીમે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ કોવિડની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર
મુખ્ય સચિવ કોરોના સંક્રમિત
પંકજકુમારનો રિપોર્ટ પોઝિટિવ
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનો કોરોના રિપોર્ટ પણ (Corona positive) આવ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ગાંધીનગર સ્થિત ઘરે જ ક્વોરન્ટાઈન થઇને સારવાર લઇ રહ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 12, 2022
તાજેતરમાં જ અપાયું છે એક્સટેન્શન
જણાવી દઇએ કે, ગત 1 મે 2022ના રોજ વયનિવૃત્ત થતાં મુખ્ય સચિવ પંકજકુમારને ફરી એક વખત 8 મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યું છે. તેઓ મૂળ બિહારના પટણાના છે. તેમનો જન્મ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે. પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પ્રભાવિત માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની નજીકના અધિકારી તરીકે પંકજ કુમારની ઓળખ થાય છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
11 જૂન 2022ના રોજ ગુજરાતમાં નવા 154 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 82, વડોદરામાં 33 અને સુરતમાં 15 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 5, રાજકોટમાં 4, મહેસાણા અને વલસાડમાં 3-3 ભાવનગર, કચ્છ, આણંદ અને ભરૂચમાં 2-2, ખેડા જિલ્લામાં એક કેસ નોંધાયો છે.
શનિવારે 58 દર્દી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઇ છે, આ તમામની તબિયત સારી છે. તો રાહતના સમાચાર એ છે કે કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 1214463 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો 10945 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 99.05 ટકા છે.
નેશનલ કોરોના અપડૅટ
કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે. આ સતત બીજો દિવસ છે જ્યારે એક દિવસમાં 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 44,553 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં 4,435 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. બીજી તરફ, મુંબઈના આંકડા ડરાવી દે તેવા છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે.