ગુજરાતમાં લોકોમાં કોરોનાનો ડર ન રહ્યો હોય તેમ બેદરકારી દાખવી રહ્યા છે, જેના કારણે ફરી કોરોનાએ રફતાર પકડી લીધી છે. શનિવારે કોરોનાના 668 નવા કેસ નોંધાયા છે. તો 515 દર્દી સાજા થયા છે.
આજે રાજ્યમાં કોરોનાના 668 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં 515 દર્દી થયા સ્વસ્થ
રાજ્યમાં કોરોનાના કુલ 4046 એક્ટિવ કેસ
ગુજરાતમાં 668 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 4046 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5 દર્દી વેન્ટિલેટર પર છે બાકીના તમામ સ્ટેબલ છે. તો 98.79 ટકા રિકવરી રેટ છે. આજે પણ એકે'ય દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી કુલ 10948 લોકોના મૃત્યુ થયા છે.
આજરોજ નોંધાયેલા કોરોનાના કેસ
દરરોજની જેમ આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 258 કેસ નોંધાયા છે, તો સુરતમાં 99 કેસ નોંધાયા છે. વડોદરામાં 61, ભાવનગરમાં 35, ગાંધીનગરમાં 46, રાજકોટમાં 18, વલસાડમાં 18, મહેસાણામાં 15, કચ્છમાં 14, ભરૂચમાં 13, નવસારીમાં 13, જામનગર, મોરબી અને પાટણમાં 9-9 કેસ, બનાસકાંઠામાં 8, દ્વારકામાં 7, અમરેલી, આણંદ અને સુરેન્દ્રનગરમાં 6-6 કેસ, તાપીમાં 5, ખેડામાં 4, પોરબંદરમાં 4, અરવલ્લીમાં 3 અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે.
પંચમહાલ, નર્મદા, મહીસાગર, ગીર સોમનાથ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને જૂનાગઢમાં આજરોજ એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
કોરોનાના કેસ સાથે ધંધાર્થીઓની ચિંતા વધી
ફરી એકવાર રાજ્યમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર અને જનતાએ બેદરકારી રાખી તો હજી પણ કોરોના ના કેસો વધી શકે છે. આ અનુમાન નિષ્ણાંત તબીબ દ્વારા કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારને પણ કોરોના ટેસ્ટિંગથી લઈને દરેક જનતાને ફરજિયાત કોવિડ ગાઈડલાઇનનું પાલન કરાવવા માટેની અપીલ પણ કરાઈ છે. જો લોકોએ બેદરકારી રાખી તો કોરોનાના કેસોમાં વધારો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો કેસ વધતા ધંધાર્થીઓ પણ ચિંતામાં મુકાઈ રહ્યા છે. કારણ કે વધતા કેસના કારણે સરકારે કડક નિર્ણયો લાગૂ કરવાની ફરજ પડે છે જેના કારણે લોકોના ધંધા પર પણ માઠી અસર પડે છે. જે લોકો અનુભવી ચૂક્યા છે.