ગત 24 કલાકમાં 1128 નવા કેસ સામે 902 દર્દીઓ થયાં સાજા, 3 દર્દીઓના મૃત્યુ. અમદાવાદમાં સૌથી વધુ 391 કેસ, રાજ્યમાં હાલ 6218 એક્ટિવ કેસ
ગુજરાતમાં કોરોનાએ પકડી રફતાર
છેલ્લા 24 કલાકમાં 1128 કેસથી હડકંપ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 1128 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 902 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 6218 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 10 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે અમદાવાદમાં 3 દર્દીએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ગઈકાલે ગુરુવારે 1101 લોકોને કોરોનાએ ઝપેટમાં લીધા હતા.
શહેરોમાં કોરોના કેસ વધ્યા
જો મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 391 કેસ ગ્રામ્યમાં 09 કેસ, સુરત કોર્પોરેશનમાં 52 ગ્રામ્યમાં 64 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 121, ભાવનગર કોર્પોરેશનમાં 16, જામનગર કોર્પોરેશનમાં 08, ગાંધીનગર કોર્પોરેશનમાં 35 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 29 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
14 દિવસમાં 12,338 કેસ નોંધાયા
ચિંતાની વાત એ છે કે 14 જુલાઇ થી 28 જુલાઇ સુધીમાં 12,338 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે તો આ સમય ગાળા દરમિયાન 14 લોકો મોતને ભેટયા છે. જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 854થી વધુ કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.
સાજા થવાનો દર 98.63 ટકા
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 10968 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 5,73,627 નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસીના કુલ 11.55 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.63 ટકા પહોચ્યો છે.