અમદાવાદમાં આજે સૌથી વધુ 3754 કોરોના કેસ,નવા 19 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, લગ્ન રદ થશે તો મનપા હોલના બુકિંગની 95 ટકા રકમ પરત કરશે
અમદાવાદમાં કોરોનાની વકરતી સ્થિતિ
આજે નવા કુલ 19 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા
હાલમાં શહેરમાં કુલ 177 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં
ગુજરાતમાં એમાંય ખાસ કરીને અમદાવાદમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. અમદાવાદમાં સતત છેલ્લા 2 દિવસથી 4 હજારને નજીક કોરોના કેસો આવી રહ્યા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 3754 કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વધુ #COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા નવા કુલ 19 માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 22 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને ઝોનમાંથી મુક્તિ આપવામા આવી છે. ગઈકાલે 180 વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હતા જેમાંથી 22ને રીલીઝ તેમજ અન્ય 19ને ઉમેરવામાં આવતા હવે શહેરમાં આ વિસ્તારોની સંખ્યા 177સુધી પહોંચી ગઈ છે.
લગ્ન રદ થશે તો મનપા હોલના બુકિંગની 95 ટકા રકમ પરત કરશે
કમુરતા ઉતરતા જ હવે લગ્નસરાની સિઝન ચાલુ થઈ ગઈ છે. પહેલા 400 લોકોને લગ્ન માટે છૂટછાટ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો પરંતુ બાદમાં 150ની જ સંખ્યા લગ્નમાં રાખવા સર્ક્યુલર જાહેર કરતાં હવે લગ્ન ઈચ્છુક પરિવારો ચિંતામાં મુકાયા છે કારણ કે તેમને અગાઉની ગાઉડલાઇન મુજબ 400 લોકોને લગ્ન માટે નિમંત્રણ આપી દીધું છે પણ હવે 150 લોકોની સંખ્યા સીમિત થઈ જતાં મોટી દુવિધા ઊભી થઈ છે. અનેક ફરિયાદો મળતા હવે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેરેજ હોલના બુકિંગ રદ કરે તો મનપા હોલના બુકિંગની 95 ટકા રકમ પરત કરશે તેવો નિર્ણય આજની બેઠકમાં લેવામાં આવ્યો છે.કોરોનાના કેસ વધતા લોકો સામાજિક પ્રસંગો મૌકૂફ રાખી રહ્યા છે કારણ કે તંત્રએ લગ્ન પ્રસંગમાં 150 લોકોને હાજર રાખવાની મંજૂરી આપી છે જેથી ધામધૂમથી લગ્ન કરવાના ઓરતા અધૂરા રહી જાય તેમ છે. લગ્ન સિવાય અન્ય કોઈ કાર્યકમ માટે જો હૉલ બુક કરાવ્યો હશે તો પણ 95 ટકા સુધીનું રિફંડ મળવા પાત્ર છે.
આજે આવેલા કોરોના કેસ ડરામણા
ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 11 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 11,176 કોરોનાના કેસ નોંધાયા છે, તો 5 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 50612 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 3754 કેસ નોંધાયા છે. તો સુરતમાં 2933, વડોદરામાં 1047 અને રાજકોટમાં 553 કેસ નોંધાયા છે.